યુનોની સુરક્ષા પરિષદનું સુકાન ભારતને

 

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં નવો ઈતિહાસ રચાયો છે. દુનિયાની સૌથી શક્તિશાળી સંસ્થાનું સુકાન ૧ ઓગષ્ટને રવિવારથી ભારતે એક મહિના માટે સંભાળી લીધું છે અને તેની બેઠકની અધ્યક્ષતા કરવાનું ગૌરવ પહેલીવાર ભારતીય વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને મળશે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પુર્વ સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરૂદીને કહ્યું કે નરેન્દ્ર મોદી પહેલા ભારતીય વડા પ્રધાન હશે જે યુએનએસસીની બેઠકની અધ્યક્ષતા કરશે. સંયુક્ત રાષ્ટ્રમાં આ આપણો આઠમો કાર્યકાળ છે. ૭પ વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે જ્યારે આપણાં રાજકીય નેતૃત્વએ યુએનએસસીના કોઈ કાર્યક્રમની અધ્યક્ષતા કરવામાં રસ દાખવ્યો છે. જે દર્શાવે છે કે આપણાં નેતાઓ સામે ચાલીને નેતૃત્વ કરવા ઈચ્છે છે. જે વિદેશ નીતિના ઉપક્રમોમાં ભારતની મજબૂત કામગીરી દર્શાવે છે. 

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સુકાન ભારતના હાથમાં આવતાં જ ચીન અને પાકિસ્તાનની ચિંતા વધી છે કારણ કે ભારતના યુનોની સુરક્ષા પરિષદ સુકાન પદે તેમનો વાસ્તવિક ચહેરો દુનિયા સમક્ષ ઉજાગર થવાનો ભય છે. અધ્યક્ષ તરીકે ભારત વિશ્વ સમુદાય સમક્ષ સમુદ્રી સુરક્ષા, આતંકવાદ અને શાંતિરક્ષણ જેવા મુદ્દાઓ ઉઠાવશે. 

દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ટ્વિટ કર્યુ કે આશા છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત પોતાના કાર્યકાળ દરમિયાન નિષ્પક્ષ થઈને કામ કરશે અને યોગ્ય નિર્ણયો લેશે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે અમે સદસ્ય દેશો સાથે સહયોગાત્મક રીતે કામ કરવા તત્પર છીએ