રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની સીધી અસર ભારત પર પણ જોવા મળી રહી છે. યુક્રેનમાં ફાટી નીકળેલા યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીનીનું મોત થયું છે. મૃતક વિદ્યાર્થીની ઓળખ કર્ણાટકના રહેવાસી નવીન તરીકે થઇ છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અહિંદમ બાગચીએ પણ વિદ્યાર્થીના મૃત્યુની પુષ્ટિ કરી છે. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધમાં આ કોઇ ભારતીય વ્યક્તિના મોતનો પ્રથમ મામલો છે. મળતી માહિતી અનુસાર કર્ણાટકનો રહેવાસી નવીન ગવર્નર હાઉસ પાસે અન્ય કેટલાક લોકો સાથે ખાવા માટેની ચીજ – વસ્તુઓ લેવા માટે સ્ટોર પાસે ઉભો હતો, તે જ સમયે તે રશિયાના સૈનિકોના ગોળીબારની ઝપેટમાં આવી ગયો. નવીનની ઉંમર ૨૧ વર્ષની છે. ભારતીય વિદ્યાર્થીઓ તરફથી એમ્બેસીને મદદ માટે વિનંતી કરવામાં આવી છે. બાગચીએ ટ્વિટ કરીને કહ્યું, અમે ખૂબ જ દુ : ખ સાથે તે વાતની પુષ્ટિ કરીએ છીએ કે ખાર્કિવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મંત્રાલય મૃતક વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે. બીજી તરફ યુક્રેનમાં ગોળીબારમાં માર્યા ગયેલા નવીન શેખરપ્પા જ્ઞાનગૌદરના પરિવારના સભ્યોએ કહ્યું કે નવીન ખારકીવ કોલેજમાં ચોથા વર્ષનો વિદ્યાર્થી હતો. યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને ભારતમાં લાવવાનું અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ઝડપથી ચાલી રહ્યું છે. પોલેન્ડ., રુમાનિયા આદિ દેશોના સહયોગથી ભારતીય વિદ્યાર્થીઓને ભારત લાવવામાં આવી રહ્યા છે. હાલ સુધીમાં આશરે પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભારત પરત આવી ગયા છે.યુક્રેનમાં ખુવારી વધી રહી છે. લોકો બેહાલ છે, યુધ્ધનો જલ્દી અંત આવે, સર્વત્ર શાંતિ સ્થપાય એ સમગ્ર વિશ્વના હિતમાં છે.