યુએઇ પાકિસ્તાની નાગરિકોને વીઝા નહીં આપે, ભારત સિવાય બીજા ૧૧ દેશો પર પણ પ્રતિબંધ

 

નવી દિલ્હીઃ યુનાઇટેડ આરબ અમીરાતે (યુએઆઇ) ભારતને બાદ રાખીને પાકિસ્તાન સહિત કુલ ૧૧ દેશોના નાગરિકોને વીઝા આપવા પર પ્રતિબંધ જાહેર કર્યો હતો. પાકિસ્તાન ઇસ્લામી દેશ હોવા છતાં એના નાગરિકોને આ આરબ દેશના વીઝા નહીં મળે.

ખુદ પાકિસ્તાની દૈનિક ટ્રાઇબ્યુન એક્સપ્રેસના અહેવાલ મુજબ પાકિસ્તાનના વિદેશ ખાતાએ બુધવારે સાંજે આ સમાચારને સમર્થન આપ્યું હતું, પરંતુ પોતાનો બચાવ કરતાં એવી દલીલ કરી હતી કે વધી રહેલા કોરોનાના સંક્રમણના પગલે યુએઇએ આ પગલું જાહેર કર્યું હતું. વાસ્તવિકતા એ છે કે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન ઇસ્લામી દેશોનો વિશ્વાસ પણ દિવસે દિવસે ગુમાવી રહ્યા છે.

જો કે યુએઇએ એવી સ્પષ્ટતા કરી હતી કે જેમને અગાઉ વીઝા અપાઇ ગયા છે એવા લોકોના વીઝા માન્ય ગણાશે. પરંતુ હવે પછી પાકિસ્તાન સહિત કુલ ૧૨ દેશોના નાગરિકોને વીઝા નહીં મળે. આ બાર દેશોમાં ભારતનો સમાવેશ થતો નથી.

પાકિસ્તાનના વિદેશ ખાતાના પ્રવક્તા જાવેદ હાફિઝ ચૈાધરીએ કહ્યું હતું કે કોરોનાના વધી રહેલા ચેપના કારણે યુએઇએ હાલ પુરતું પાકિસ્તાન સહિત થોડાક દેશોના નાગરિકોને વીઝા નહીં આપવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાન આ નિર્ણયને આવકારતું હતું. રસપ્રદ વિગત એ હતી કે યુએઇએ પ્રતિબંધ જાહેર કર્યો એવા મોટા ભાગના દેશો મુસ્લિમ દેશો છે. આ દેશોમાં તૂર્કી, યમન, સોમાલિયા, લીબિયા, સિરિયા, ઇરાક, કેન્યા અને અફઘાનિસ્તાનનો સમાવેશ થયો હતો.