મોમાઈ માતાનું મૂળ સ્થાપન સ્થળ મોમાઈ-મા મંદિરઃ ‘મોમાઈ મોરા’

0
9343

કચ્છ જિલ્લાનું રાપર, અંતરિયાળ નગર રણવિસ્તારને અડીને આવલું છે. અને વાગડ વિસ્તાર સાથે આજે પણ એનો અતૂટ નાતો છે. કચ્છ જિલ્લો હોવા છતાં રાપરવાસીઓ મોટી ખરીદી કે સાજેમાંદે પાટણ જવાનું પસંદ કરે છે! ભૂજ તો ખાસ્સું દૂર થાય છે. રાધનપુરવાળો નેશનલ હાઈવે ચિત્રોડથી ખસી જાય છે. ત્યાંથી 35 કિલોમીટરના અંતરે રાપર આવે છે, પણ રસ્તો સાંકડો – સિંગલ પટ્ટી છે.
રાપર તાલુકામાં સફેદ માટીનો જથ્થો છે. અંતરિયાળ વિસ્તારમાં વિકાસનો રસ્તો રાપર બનતો જાય છે. હજી ગામડાંઓમાં અક્ષરજ્ઞાનથી વંચિત હોય તેવી અનુભૂતિ થાય છે! તેમ છતાં રાપર તાલુકામાં ધાર્મિકતાની ધજા અંબર સુધી આંબે છે. આ તાલુકાનું મોમાઈ મોરા સ્થાનક વિશ્વવિખ્યાત છે. અહીં મોમાઈ માતાજીનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે.
કચ્છના રાપર તાલુકામાં મોમાઈ-મોરગઢમાં મહાશક્તિ મોમાઈ માતાજીનાં બે મંદિરો આવેલાં છે – નવું અને જૂનું. થોડા થોડા અંતરે આ બન્ને ભવ્ય મંદિરો આવેલાં છે. જોકે નવા મંદિરે વિકાસ ઘણો થયો હોય એવું લાગે છે અને આજુબાજુ પ્રસાદી અને અન્ય દુકાનો છે. નવા મંદિરમાં ભવ્યતા વધારે છે. ત્યાં પાળિયાનો વિપુલ ભંડાર છે. ચોતરફ કલાત્મક કેસરિયા પાળિયામાં એક અંગ્રેજે ગોળી મારતાં લોહી નીકળ્યું હતું એમ સ્થાનિક લોકો કહે છે. જોકે ગોળી મારી હતી તેની નિશાની આ કેસરિયા પાળિયામાં મોજૂદ છે. આથી મંદિરવાળો વિસ્તાર પણ પ્રાચીનતમ હશે તેવી પ્રતીતિ અચૂક થાય છે. ત્યાંથી થોડે દૂર જતાં મોમાઈ માતાજીનું જૂનું મંદિર આવે છે. ત્યાં બે મુખાકૃતિવાળાં માતાજી છે. ભોજન પ્રસાદની અહીં ઉત્તમ વ્યવસ્થા પણ છે. મોમાઈ મોરા આવતા માના ભક્તો આ બન્ને મંદિરે દર્શન કરવા માટે જાય છે.
મોમાઈ માતાજીની પહેલી સ્થાપના આ સ્થળે થયાનું મનાય છે. કારડિયા રાજપૂતો, જાડેજા રાજપૂતો, વાઢેર, ભરવાડ, રબારી, પટેલ અને અન્ય જ્ઞાતિઓના લોકોની મોમાઈ મામાં અપાર શ્રદ્ધા-આસ્થા છે. મોમાઈ મા ઘણાનાં કુળદેવી પણ છે.
મોમાઈ મોરા ગામમાં માતા મોરાગઢ ઉપર કેમ બિરાજ્યાં? ઘણાં વર્ષો પહેલાં સૌરાષ્ટ્રમાં એક સ્થાનમાં ચંદુવંશી જાડેજા કુટુંબો રહેતાં હતાં. આ કુટુંબોને અંદરોઅંદર મતભેદ થયો. એટલે જ તો કૌટુંબિક શાંતિ માટે કેટલાંક ચંદુવંશી જાડેજા કુટુંબોમાંથી સૌરાષ્ટ્ર છોડીને ચાલી નીકળ્યા અને ચાલતાં ચાલતાં કચ્છધરાના નારાયણમાં પહોંચ્યા. ચાલતાં ચાલતાં એમને પાણીની તરસ લાગી, આથી આ કુટુંબો પાણીથી ટળવળવા લાગ્યાં. એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણીની શોધમાં નીકળી આ કુટુંબો પડ્યાં પણ પાણી ન મળ્યું એટલે જાડેજા કુટુંબો પોતાનાં કુળદેવી માને યાદ કરવા લાગ્યાં, પણ અશાંત મને ઘરબાર છોડ્યાં તે વખતે પોતાના કુળદેવીની નિશાની લીધી ન હોવાથી અને તેઓ મનોમન કુળદેવીને યાદ કરવા લાગ્યા કે મા, તું તો જાડેજાની કુળદેવી મોમાઈ, તું અમને મારગ બતાવ.
મોમાઈ જાગતી ને દેવી ડાક વાગતી. છતાંય શાસ્ત્રોમાં કહ્યું છે ને છોરું કછોરું થાય, પણ માવતર કદી કમાવતર ન થાય. તરસથી પીડાતા જાડેજાને માર્ગ બતાવવા મા પધાર્યાં. કરે જે ભાવથી યાદ એની વહારે મા આવતાં. માતાજી જાડેજા કુટુંબની વહારે પધાર્યાં ત્યારે તેમણે કેવું રૂપ દેખાડ્યું. સાંઢણી ઉપર બિરાજીને મા પધાર્યાં. જાડેજાઓએ તેમની વિતક કથા માને સંભળાવી કે અમે ભૂખ્યા છીએ, તરસ પણ જોરદાર લાગી છે, કૃપા કરી અમારી તૃષાને શાંત કરો. અમારી માના જ્વારા અને ભસ્મ સાથે લાવવાનું ભૂલી ગયા છીએ. સાંઢણીસવાર બાઈ બીજું કોઈ નહિ, મોહમાયા માતાજી મોમાઈ પોતે જ હતાં. દુઃખી ભક્તોના અંતરની વેદના સાંભળી ભક્તોની વહારે પધાર્યાં હતાં. અને કહ્યું લો, તમને પાણી આપું છું. તમે મારી પાછળ પાછળ આવજો અને સાંઢણીનાં નિશાને હાલજો. અને ટીંબો આવે એટલે ગામ આવશે, ત્યાં માતાજી તમને ચમત્કાર બતાવશે. એ જગ્યા પર માતાજીની સ્થાપના કરજો તમારો ભાગ્યોદય થશે. તમારું કલ્યાણ થશે. સાંઢણીના નિશાને ચાલતાં ગયા અને મીઠ્ઠા મધ જેવા ઝરણામાંથી તરસ છિપાવી આગળ જાડેજા કુટુંબ આગળ ચાલ્યાં. બીજે દિવસે જાડેજા કુટુંબ મોમાઈ મોરા ગામમાં પહોંચ્યું. એ ટીંબા ઉપર સાંઢણીનાં નિશાન પૂરાં થતાં હતાં. ત્યાં માતાજીની સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થયેલી હતી. તેના નિશાનરૂપે શ્રીફળ, ચૂંદડી, ત્રિશુળ અને સુગંધી જોઈ જાડેજા કુટુંબને આશ્ચર્ય થયું કે રણમાં જે દેવી આવ્યાં હતાં તે મા મોમાઈ મોરા કહેવાય છે. પછી તો જાડેજાઓએ માતાજીની ડેરી બાંધી અને ભક્તિભાવથી માતાજીને પૂજવા લાગ્યા, એમના નામનું સ્મરણ કરવા લાગ્યા. એ ગામનું નામ મહામાયાપુર જે અપભ્રંશ થતા મોમાઈમોરા થઈ ગયું અને કચ્છ મહારાજા પહેલા ખેંગારજીએ મોમાઈ માની ડેરી બંધાવી. પછી તો તેમની એક માનતા સફળ થઈ ગઈ અને વિશાળ મંદિર બંધાવી આપ્યું.

મોમાઈ માતાજીની કીર્તિ હવે તો ચારેય દિશામાં પ્રસરી ગઈ છે.
આદ્યશક્તિ મહામાયા માડી મોહમાયા જેના કુળમાં પૂજાતી હોય તેના કુળમાં ક્યારેય પણ ખોટ ન હોય. આફત પણ ટળી જાય છે. બધી મનોકામના પૂર્ણ થાય છે. જાગતી જ્યોત મા મોમાઈનાં દર્શને રોજના હજારો ભક્તો આવે છે. અને માનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. આપ પણ કચ્છ-વાગડના મહેમાન બનો અને મોમાઈ મોરામાં નવું – જૂનું મોમાઈ માતાજીના મંદિરે દર્શન કરો તો તમારી પણ મનસા પૂર્ણ થશે…

લેખક ફ્રિલાન્સ ફોટો-જર્નલિસ્ટ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here