
ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંધે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલાહ આપી હતી કે, તેમણે બિનભાજપ શાસિત રાજ્યોની મુલાકાત સમયે સંયમ ધારણ કરીને વર્તવું જોઈએ. વડાપ્રધાનના પદને છાજે એ એવું આચરણ કરીને નૈતિકતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડવું જોઈએ.
ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંધ માજી કેન્દ્રીય પ્રધાન મનિષ તિવારીના પુસ્તકના વિમોચન પ્રસંગે વકતવ્ય આપી રહ્યા હતા. આ પ્રસંગે ફારુક અબદુલ્લા પણ હાજર રહ્યા હતા. મનમોહન સિંઘે જણાવ્યું હતું કે, વડાપ્રધાનને આ રીતે જાહેરમાં સલાહ આપવી પડે છે, કારણ કે ચર્ચાનું સ્તર ઘટતું જાય છે. ચૂંટણીના સમય દરમિયાન આવું બની રહ્યું છે. મેં મારા શાસનકાળ દરમિયાન ભાજપ શાસિત રાજ્યોની મુલાકાતે લીધી હતી અને ત્યારે મારા જે તે રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે સારા સંબંધો રહેતા હતા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પોતે જ મારી આ વાતનું સમર્થન કરશે કે યુપીએના શાસનકાળ દરમિયાન તેમણે કોઈની પણ સાથે કશો ભેદભાવ કર્યો નહોતો.