

જો પાકિસ્તાન ભારત સામે લડાઈ કરવાની ભૂલ કરશે તો એ એને માટે વિનાશક સાબિત થશે. ભારત – પાકિસ્તાનની લડાઈમાં હારવાનું અને બરબાદ થવાનું પાકિસ્તાનના ફાળે જ જવાનું, એ વાત નક્કી છે..
ભારતનું સૈન્ય વિશ્વનું પાંચમા નંબરનું શ્રેષ્ઠ સૈન્ય છે. દુનિયાભરમાં સૌથી ઉત્તમ અને ઉત્કૃષ્ટ સૈન્ય છે અમેરિકાનું , પછી રશિયાનું, અનૈે ત્યારબાદ ત્રીજા સ્થાને ચીનનું લશ્કર છે અને ભારતનું સૈન્ય જગતનું પાંચમા નંબરનું શ્રેષ્ઠ સૈન્ય ગણવામાં આવે છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પુલવામાં આતંકવાદી હુમલા બાદ ભારતમાં સર્જાયેલી પરિસ્થિતિ અને જન આક્રોશ અંગે જાણ્યા બાદ ભારતને ધમકી આપતાં કહ્યું હતું કે, જો યુધ્ધ થશે તો અમે શાંત નહિ બેસીએ. ભારતને જવાબ આપીશું,
શું આઈએસઆઈની કઠપૂતળી બનીને વર્તનારા ઈમરાન ખાનને ભારતની લશ્કરી તાકાતની પૂરેપૂરી જાણકારી છે ખરી? ભારતનું સૈન્યદળ, નૌકાદળ અને હવાઈ દળ પાકિસ્તાન કરતાં ખૂબ જ ચઢિયાતું છે. ભારતીય ટેન્કો, મિસાઈલો તેમજ વાયુદળના ધાતક વિમાનો પાકિસ્તાનનો ખાત્મો કરવામાં સક્ષમ છે..ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ – ચાર વખત યુધ્ધ થયું છે અને દરેક વખતે પાકિસ્તાન પરાજિત થયું છે. ભારતના ભૂમિદળમાં સૈનિકોની સંખ્યા પાકિસ્તાનના કરતાં ઘણી વધારે છે. ભારતનું અનામત સૈનિકદળ, અર્ધ લશ્કરીદળ સંખ્યા અને ક્ષમતાની તુલનામાં પાકિસ્તાન કરતાં વધુ શક્તિશાળી અને પાવરધા છે. ભારતની સેના પાસે વિવિધ પ્રકારની ટેન્કો છે. ભારતીય સેના પાસે સુપર સોનિ્ક ક્રુઝ મિસાઈલ, બ્રહ્મોસ, અગ્નિ, પૃથ્વી, આકાશ અને નાગ નામ ધરાવતી આધુનિક મિસાઈલો છે. જે શત્રુઓના ઠેકાણાઓને ખેદાનમેદાન કરી નાખવામાં પૂરતી સક્ષમ છે. અગ્નિ-5 ભારતની સૌથી આધુનિક અને પાવરફુલ મિસાઈલ છે. તેની ક્ષમતા 5,000 કિ.મી.ની છે. પાકિસ્તાન પાસે શાહીન, ગજનવી, બાબર જેવી મિસાઈલો છે.
ભારતનું હવાઈદળ એટલું મોટું છેકે, તે સમગ્ર પાકિસ્તાનના વિસ્તારને ઘેરી શકે તેમ છે. ભારતીય એરફોર્સ વિશ્વનું સૌથી મોટું ચોથું એરફોર્સ છે. ભારત પાસે મોટી સંખ્યામાં યુધ્ધ વિમાનો છે. જેમાં સુખોઈ-એમ-30, મિગ-29, મિગ-27, મિગ-21 , મિરાજ અને જેગુઆર જેવા આધુનિક વિમાનોનો સમાવેશ થાય છે.
નૌકાદળમાં ભારતની તાકાત પાકિસ્તાન કરતાં ત્રણ ગણી વધારે છે. ભારત પાસે યુધ્ધ જહાજો, સબમરીનો, ગશ્તી જહાજો, ગાઈડેડ મિસાઈલો છે. ભારતના નૌકાદળની પાસે પાણીમાં સુરક્ષા વ્યવસ્થાની જાળવણીનો પર્યાપ્ત અનુભવ અને કૌશલ્ય છે.
પાકિસ્તાન પાસે પરમાણુ હથિયારો વધુ હોવાનું કહેવાય છે. પાકિસ્તાન હંમેશા ભારતને પરમાણુ બોમ્બની ધમકી આપતું રહે છે. જોકે ભારત અને પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બની સંખ્યા અંગે કોઈ સચોટ માહિતી નથી.