ભારતે તિબેટનો મુદ્દો ઉઠાવ્યો તો ભારત સાથેના સંબંધ ખતમ થશેઃ ચીન

 

બેઇજિંગઃ વિસ્તારવાદની નીતિથી પીડાઇ રહેલું ચીન તિબેટ પર કબજો જમાવી ત્યાંના સામાન્ય જીવનને વેરવિખેર કરી ચૂક્યું છે. કેટલાક ભારતીય નિષ્ણાંતોની ભારત સરકારને તિબેટ કાર્ડ ખેલવાની સલાહ પર હવે ચીન ઉકળી રહ્યું છે અને ગુસ્સામાં તેણે ભારતને યુદ્ધની ધમકી પણ આપી દીધી હતી. ચીનનું કહેવું હતું કે, અમેરિકા સાથે મળીને ભારતે તિબેટનો મુદ્દો ઉઠાવ્યો તો બંને દેશો વચ્ચેના સંબંધ સંપૂર્ણ રીતે ખતમ થઇ જશે.

ચીનની સરકાર અને કોમ્યુનિષ્ટ પાર્ટીએ તેના મુખપત્ર ‘ગ્લોબલ ટાઇમ્સ’માં ભારતને ચેતવણી આપતા કાશ્મીર મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. ચીને એમ પણ કહ્યું હતું કે ભારત, કાશ્મીરને તેનો ઇલાકો ગણી ન શકે. તેણે ઉત્તર પૂર્વમાં અલગાવવાદની યાદ અપાવતા બદલો લેવાની ધમકી પણ આપી હતી. 

ચીની સરકારે તેના મુખપત્રમાં લેખ દ્વારા એવું કહવાનો પ્રયત્ન કર્યો હતો કે, ભારતના કેટલાક નિષ્ણાંતો ત્યાંની સરકારને અમેરિકા સાથે મળીને તિબેટ કાર્ડ ખેલવાની સલાહ આપી રહ્યા છે. તેમણે અમેરિકાને પણ તિબેટ કાયદાનો લાભ ઉઠાવવા ઇશારો કર્યો હતો, પરંતુ તિબેટ એ ચીનનો હિસ્સો છે. અને ભારત સરકાર લાંબા સમયથી તેને માન્યતા આપી રહ્યું છે. એવામાં ભારત સરકાર તેના નિષ્ણાંતોની વાત માનશે તો બંને દેશો વચ્ચેના સંબંધમાં ખતરો થશે અને નવી દિલ્હી યુદ્ધ ભડકાવવા માટે જવાબદાર રહેશે. 

જોકે હાલમાં જ લદાખ મુદ્દે વિવાદમાં ભારત તરફથી જડબેસલાક કાર્યવાહીથી ડઘાઇ ગયેલા ચીને તેના મુખપત્ર દ્વારા એમ પણ કહ્યું હતું કે, ભારતમાં ચીન વિરુદ્ધ યુદ્ધ જીતવાની ક્ષમતા નથી અને એના નિષ્ણાંતો અમેરિકાની ભાષા બોલી રહ્યા છે. એક ચીની નિષ્ણાંતનું કહેવુ હતું કે ભારતે આ મુદ્દે અનેક વાર વિચાર કરવો પડશે, કે તેણે અમેરિકા સાથે મળીને ચીન સામે અડચણો પેદા કરી હતી તો તેને શું મળશે. અંતે ભારત ખુદને ચીનના નિશાના પર જોશે.