ભારતીય મૂળની અનિતા આનંદને કેનેડાના સંરક્ષણ મંત્રીની જવાબદારી

 

ઓટાવાઃ ભારતીય મૂળના કેનેડિયન પોલિટીશિયન અનિતા આનંદને કેનેડામાં નવા સંરક્ષણ મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. જસ્ટિન ટ્રુડોની કેબિનેટથી પૂર્વ સંરક્ષણ મંત્રી હરજીત સિંહ સજ્જનને હટાવીને મંગળવારે તેમના સ્થાને અનિતા આનંદને સ્થાન આપવામાં આવ્યું છે. 

કેનેડામાં તાજેતરમાં થયેલી ચૂંટણીમાં લિબરલ પાર્ટીની ફરીવાર જીત થઈ છે, અનિતા આનંત અને ટ્રુડો – બંને લિબરલ પાર્ટીના સભ્ય છે. સંરક્ષણ મંત્રીની જવાબદારી સંભાળ્યા બાદ અનિતાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે તેમની પ્રથમ જવાબદારી કેનેડાના સૈન્ય સુરક્ષિત હોવાનો ભરોસો આપવાનો છે. અહીંયા નોંધવું રહ્યું કે કોરોના મહામારી સમયે કેનેડા માટે વેક્સિન ખરીદવાની અને વેક્સિનનો પુરવઠો સુનિશ્ચિત કરવાની જવાબદારી અનિતા પર હતી. અનિતાએ સોશ્યલ મીડિયા પર વડા પ્રધાન ટ્રુડોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે કેનેડાની આર્મી દેશના લોકોની સુરક્ષા માટે પ્રાણની બાજી લગાવી રહી છે. સૈન્ય સુરક્ષિત અને સ્વસ્થ માહોલમાં કામ કરે એ જરૂરી છે. ૫૪ વર્ષીય અનિતા વ્યવસાયે વકીલ છે. એ પહેલીવાર ૨૦૧૯માં કેબિનેટ મંત્રી બની હતી.