ભારતના ‘કોરોના કંટ્રોલ મોડલ’ને અનુસરતું યુરોપનું જર્મની

 

નવી દિલ્હીઃ ભારત દેશ ખરેખર ભાગ્યશાળી છે કે તેને એક એવા રાષ્ટ્રવાદી નેતા મળ્યા છે જેને આખી દુનિયા સલામ કરી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કોરોના વિરુદ્ધનું યુદ્ધ સફળ રહ્યું છે અને ભારત આજે આ મહામારીના સાડા  ચાર મહિના વીતવા છતાં સંક્રમણના ચોથા સ્ટેજ પર પહોંચ્યું નથી. હવે કોરોના સામેનો જંગ જીતવા માટે ભારતે ઉઠાવેલા પગલાંનુ અનુકરણ એક શક્તિશાળી દેશ કરી રહ્યો છે અને તે છે યુરોપનું જર્મની. 

ભારતે સંક્રમણની જાણકારીના પ્રથમ દિવસથી જ એટલે કે ૩૦ જાન્યુઆરીથી જ જે રીતે તત્પરતા દેખાડીને મહામારી રોકવા માટે પગલાં ભર્યા તેના કારણે ભારત પર કોરોનાનું સંક્રમણ પોતાનું અતિક્રમણ કરવામાં નિષ્ફળ રહ્યું છે. હવે જર્મની પણ કોરોના સામેની જંગમાં લગભગ એ જ પગલાં ઉઠાવી રહ્યું છે જે અત્યાર સુધી ભારતે ઉઠાવ્યાં છે. જર્મનીના ચાન્સેલર મર્કેલે સ્પષ્ટપણે કહ્યું છે કે જો પૂરેપૂરી સાવધાની ન રાખવામાં આવી તો નુકસાન ઘણું વધારે થઈ શકે છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ ભારતમાં લોકડાઉનની સમયમર્યાદા વધારીને ૩ મે સુધી વધારવાની જાહેરાત કરી હતી અને તેના સફળ પાલન માટે તેમણે દેશવાસીઓની સામે આવીને તેમને આ અંગે વિસ્તૃત સમજ પણ આપી હતી. આ અગાઉ પણ તેમણે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. બરાબર એ જ દિવસે અને એ જ રીતે જર્મનીમાં પણ ચાન્સેલર એન્જેલા મર્કેલે પોતાના પ્રાંતના સર્વોચ્ચ નેતાઓ સાથે લોકડાઉનને લઈને ઊંડી ચર્ચા વિચારણા કરી હતી. ત્યારબાદ તેમણે પણ ભારતની જેમ જ જર્મનીમાં પણ લોકડાઉનને ૩ મે સુધી લંબાવી દીધુ. વિશેષ વાત એ છે કે જર્મનીમાં આ લોકડાઉન ત્રીજીવાર આગળ વધારવામાં આવ્યું છે. 

જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે સ્થિતિની ગંભીરતાને સમજી છે અને તેના આધારે લોકડાઉનને આગળ વધારવાની જાહેરાત કરી છે. તેમણે દેશવાસીઓને સંબોધન કરતા કહ્યું હતું કે જર્મની હાલ લોકડાઉન હટાવવાનું જોખમ લઈ શકે તેમ નથી. મર્કેલે વધુમાં કહ્યું હતું કે જ્યાં સુધી કોરોના વાઇરસની કોઈ દવા ન બની જાય ત્યાં સુધી જર્મનીએ આ વાઇરસ સાથે જ જીવવું પડશે.