
સંગીતજ્ઞ પિતા દીનાનાથ મંગેશકરની સ્મૃતિમાં સ્વરકિન્નરી આદરણીય લતા મંગેશકરના પરિવાર દ્વારા જેની રચના કરવામાં આવી છે તે દીનાનાથ મંગેશકર એવોર્ડ કલાના ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન કરનાર વ્યક્તિને આપવામાં આવે છે. આ વરસે જાણીતા પટકથા- લેખક અને 70-80ના દાયકામાં પોતાની પટકથાએઓથી બોલીવુડને ગાજતું કરનાર મશહૂર સલીમ- જાવેદ જોડીના સલીમ ખાનને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દીનાનાથ મંગેશકર એવોર્ડ આપીને તેમના યોગદાનની સરાહના કરવામાં આવી હતી. આ સિવાય જાણીતી નૃત્યાંગના હેલન અને ફિલ્મ નિર્માતા- નિર્દેશક મધુર ભંડારકરને પણ માસ્ટર દીનાનાથ મંગેશકર એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ સમારંભ પ્રસંગે આરએસએસના અગ્રણી મોહન ભાગવત ખાસ હાજર રહ્યા હતા. તેમના શુભ હસ્તે જ વિજેતાોને એવોર્ડ અપાયા હતા.