બાબા રામદેવે વિવાદીત બયાન પર માંગી માફી

 

મુંબઇ: મહિલાઓ વિશે અભદ્ધ ટિપ્પણી કરવાને કારણે લોકોની ટીકાનો સામનો કરી રહેલા યોગગુરૂ બાબા રામદેવે વિવાદીત બયાન પર ખેદ વ્યક્ત કરીને માફી માંગી લીધી છે. મહારાષ્ટ્ર મહિલા આયોગના અધ્યક્ષે કહ્યું કે રામદેવે તેમને ઈ-મેઈલ કર્યો હતો અને તેમની અભદ્ધ ટિપ્પણી માટે માફી માંગી હતી, પરંતુ ઉમેર્યું હતું કે તેમની ટિપ્પણીને સંદર્ભની બહાર લેવામાં આવી હતી. નોંધનીય છે કે થાણેમાં મહિલાઓ માટે આયોજિત યોગ પ્રશિક્ષણ કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, બાબા રામદેવે કહ્યું હતું કે મહિલાઓ સાડીઓમાં સારી દેખાય છે, તેઓ સલવાર સૂટમાં પણ સારી દેખાય છે, અને જો તેઓ કંઈ ન પહેરે તો તેઓ વધુ સારી દેખાય છે. રામદેવના આ કાર્યક્રમમાં શિવસેનાના થાણેના સાંસદ શ્રીકાંત શિંદે, મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર અને ભારતીય જનતા પાર્ટીના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત હતા. રામદેવની આ ટિપ્પણીએ મહારાષ્ટ્ર સહિત દેશના અન્ય ભાગોમાં હોબાળો મચાવ્યો હતો.