ફરી એક સર્જિકલ સ્ટ્રાઇકનો ડર પાકિસ્તાનને સતાવી રહ્યો છે

 

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનનું નવું પાકિસ્તાન ભારતીય સેનાના પરાક્રમથી એ હદે દહેશતમાં છે કે તેણે પોતાના સૈનિકોને હાઈ અલર્ટ પર રાખ્યા છે. પાકિસ્તાનને સતત ડર સતાવી રહ્યો છે કે ભારત વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપી શકે છે. આ ખુલાસો કોઈ અન્ય નહીં પરંતુ પાકિસ્તાની મીડિયાએ જ કર્યો છે. જિયો ન્યૂઝે પાકિસ્તાની અધિકારીઓના હવાલે લખ્યું છે કે ભારત એકવાર ફરીથી આંતરિક અને બહારના દબાણોથી ધ્યાન હટાવવા માટે પાકિસ્તાન વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારીમાં છે. 

અગાઉ પણ ભારતીય સેના પાકિસ્તાનની નાપાક હરકતોનો જવાબ સર્જિકલ સ્ટ્રાઈકથી આપી ચૂકી છે. જેના કારણે પાકિસ્તાને ઘણું નુકસાન સહન કરવું પડ્યું હતું. તે ડરથી ઈમરાન ખાન સરકાર હજુ પણ બહાર આવી નથી અને આવામાં જો ભારત ફરીથી કોઈ મોટી કાર્યવાહી કરે, તો પાકિસ્તાન ખુબ જ ખરાબ સ્થિતિમાં પહોંચી જશે. જેના કારણે ઈમરાને પોતાની સેનાને હાઈ અલર્ટ પર રાખી છે. 

રિપોર્ટમાં કહેવાયું છે કે લદાખ અને ડોકલામમાં લાગેલા ઝટકા બાદ ભારત નિયંત્રણ રેખા અને ભારત-પાકિસ્તાન વર્કિંગ બાઉન્ડ્રી પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. હુમલાની શક્યતાને જોતા પાકિસ્તાનના સશસ્ત્ર દળોને હાઈ અલર્ટ પર રાખવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ, ભારત લઘુમતીઓ સાથેના દુર્વ્યવહાર, ખેડૂત આંદોલન, અને કાશ્મીરમાં વધતા અત્યાચારો તરફ આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ભટકાવવા માટે બોર્ડર એક્શન કે સર્જિકલ સ્ટ્રાઈકનો સહારો લઈ શકે છે. 

જિયો ન્યૂઝના રિપોર્ટમાં કહેવાયું છે કે ૨૦૧૬માં  ભારતે કોઈ પણ પુરાવા વગર એલઓસી પર સર્જિકલ સ્ટ્રાઈકનો દાવો કર્યો હતો. આ પ્રકારની કોશિશ ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પણ કરાઈ હતી. અત્રે જણાવવાનું કે ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના ઉરી સૈન્ય કેમ્પ પર આતંકીઓના હુમલા બાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો. એવી જ રીતે પુલવામામાં ઘ્ય્ભ્જ્ના કાફલા પર કરાયેલા આતંકી હુમલાના જવાબમાં પણ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી આતંકી કેમ્પને નષ્ટ કર્યા હતા.