
રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલે બેન્કોમાં થઈ રહેલા નાણાકીય ગોટાળાઓ બદલ ક્ષોભ અને દુખની લાગણી સાથે કહ્યું હતું કે, કેન્દ્રીય આરબીઆઈ ભગવાન શિવની જેમ અપમાન -ટીકા અને નિંદાઓનું ઝેર પી લેશે. પોતાના પર ફેંકવામાં આવનારા પથ્થરોનો સામનો કરશે પણ દરેક વખતે વધુ સારી કામગીરી બજાવવાના નિર્ધાર અને આશા સાથે આગળ વધશે. આશરે 13 હજાર કરોડના પીએનબી ગોટાળા અંગે છેવટે પોતાનું મૌન તોડીને બોલતા જણાવ્યું હતું કે, આજે હું મારો પ્રતિભાવ જાહેરમાં એટલા માટે વ્યક્ત કરી રહ્યો છું કે,બેન્કોના ક્ષેત્રમાં થઈ રહેલા ગોટાળાઓ તેમજ નાણાની હેર-ફેરમાં આચરવામાં આવતી ગેરરીતિઓથી આરબીઆઈને પણ દુખ થાય છે, ગુસ્સો આવે છે, ગ્લાનિનો અનુભવ થાય છે. તેમણે કહ્યુ હતું કે, જો હું તમને સ્પષ્ટ શબ્દોમાં વાત કરું તો આ તો કેટલાક બિઝનેસમેનો દ્વારા બેન્ક સાથે સાઠગાંઠ કરીને દેશને લૂંટવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ પ્રકારના કૌભાંડો અને છેતરપિંડીને અટકાવવા માટે જે પણ પગલાં લેવાનું અનિવાર્ય હોય તે પગલાં અમે ચોક્કસ લઈશું.ભારતની અર્થ- વ્યવસ્થાના કાર્યને તેમણે પૌરાણિક સમુદ્રમંથન સાથે સરખાવ્યું હતું. ઉર્જિત પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જયાં સુધી આ તલસ્પર્શી સમુદ્ર મંથન પૂરું નહિ થાય તયાં સુધી અમૃતની પ્રાપ્તિ નહિ થાય.