
આધારભૂત સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે કે, ભારત- પાકિસ્તાન વચ્ચેની શાંતિ મંત્રણા પુનઃ શરૂ કરવામાં આવે. ઈમરાન ખાનનો આ પત્ર વડાપ્રધાન મોદીના એ પત્રનો જવાબ છે કે, જેમાં મોદીજીએ બન્ને દેશો વચ્ચે રચનાત્મક સંબંધોના સંકેત આપ્યા હતા. ઈમરાન ખાને ન્યુ યોર્કમાં યોજાનારી યુનોની જનરલ એસેમ્બલીની મિટિંગ સિવાય પાકિસ્તાન અને ભારતના વિદેશમંત્રીઓ વચ્ચે મુલાકાત યોજાય એવી ઈચ્છા વ્યક્ત કરી હતી. ઈમરાન ખાને 2015થી અટકી પડેલી દ્વિપક્ષીય મંત્રણાની પ્રક્રિયાનો ફરી આરંભ કરવાની વાત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજ અને તેમના સમકક્ષ સાહ મહંમદ કુરૈશી વચ્ચે મુલાકાત યોજાય એવી સંભાવના છે. ન્યુ યોર્કમાં 20મી સપ્ટેમ્બરે યોજાઈ રહેલી યુનોની જનરલ એસેમ્બલીની મિટિંગ દરમિયાન બન્ને દેશના નેતાઓ અન્યત્ર મળે એવી શક્યતા છે.
તાજેતરમાં મળેલા સમાચાર મુજબ, પાકિસ્તાને સીમા પરના એક ભારતીય સૈનિક સાથે ક્રૂરતાભર્યો અમાનુષી વર્તાવ કર્યો હોવાની
બીના જાણવા મળી હતી. જમ્મુ – કાશ્મીરના સાંબા વિસ્તારમાં ભારતીય સૈન્યના એક જવાનનું દગાથી અપહરણ કર્યું હતુ. ત્યારબાદ તેની સાથે ખૂબ જ અમાનુષી – બર્બરતાપૂર્ણ વ્યવહાર કર્યો હતો.પાકિસ્તાની સૈન્યના સૈનિકોએ ભારતના લશ્કરી જવાનનું ગળુ કાપી નાખ્યું હતું. તેની આંખો કાઢી લીધી હતી. આ બનાવની જાણ થતાં ભારતીય સમુદાયમાં ઉગ્ર રોષની લાગણી પ્રવર્તી રહી છે.