
અમદાવાદઃ અમદાવાદની ઓનલાઇન ટેલીમેડિસિન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ઓટીઆરઆઇ) દ્વારા કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યુક્લિયર ડિફેન્સ સિસ્ટમ (સીબીઆરએનડી)ની રજૂઆત થઈ છે.
ઓનલાઇન ટેલીમેડિસિન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન અને વરિષ્ઠ વૈજ્ઞાનિક રાગેશ એમ. શાહે કહ્યું કે આ એક ખાનગી, સેલ્ફ-ફાઇનાન્સ્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, જે ભારતમાં સ્વયંસેવી સંસ્થા સોમચંદ ડોસાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગમાં છેલ્લાં 21 વર્ષથી કામ કરે છે. ઓટીઆરઆઇ વિવિધ વિષયો સાથે સલામતી અને આરોગ્ય બાબતો પર પ્રોજેક્ટ્સ વિકસાવે છે. ખાસ કરીને ટેલી-હેલ્થકેરમાં ટેલીમેડિસિનનો ઉપયોગ માત્ર માનવજાત સુધી સીમિત નથી, પરંતુ પશુઓ, પક્ષીઓ, કૃષિ-પાક મેનેજમેન્ટમાં પણ ઉપયોગમાં લેવાય છે. પ્રથમ અને બીજા તબક્કાનું સંશોધન સંપૂર્ણ થઈ ગયું છે અને વ્યાવસાયિક પ્રોજેક્ટ્સ કેટલાંક વર્ષથી ચાલુ છે, જે ભારતીયોને અને સમગ્ર દુનિયાને લાભ પૂરા પાડે છે.
આજે ઓટીઆરઆઇ સીબીઆરએનડી ટેક્નોલોજી પર કામ કરી રહી છે. આ ટેક્નોલોજી સમાજ માટે ખૂબ જ મહત્ત્વની છે. કોમ્બેટ સિસ્ટમ કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યુક્લિયર ડિફેન્સ સિસ્ટમ (સીબીઆરએનડી) ટેલી-હેલ્થકેર અને રિહેબિલિટેશન ટેક્નોલોજી સાથેની વિશિષ્ટ પ્રકારની સૌપ્રથમ ન્યુક્લિયર રેડિયેશન મોનિટરિંગ અને કોમ્બેટ સિસ્ટમ છે અને તે સીબીઆરએનડી ડિઝાસ્ટર્સ સમયે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેણે જાન્યુઆરી, 2015થી દરેક મોડ્યુલ્સ સાથે કામગીરી શરૂ કરી છે. વર્ષ 2004થી જૈવિક મોડ્યુલ પર એસએઆરએસ રોગચાળા દરમિયાન મલેશિયામાંથી અને ત્યાર પછી ગુજરાતમાં 2009માં સ્વાઇન ફ્લુ માટે સંશોધન કામ શરૂ થયું હતું તેમ જ સરકાર સાથે છ પ્રોજેક્ટ્સ પર કામ થયું છે.
સીબીઆરએનડી સિસ્ટમમાં ન્યુક્લિયર રેડિયેશન મોનિટરિંગ (સીપીએમ અને એલાર્મ) લાઇવ ટેલી-હેલ્થકેર સર્વરની પુશ પુલ ટેક્નોલોજી સાથે દુર્ઘટના સમયે ટેલી-હેલ્થકેર સર્વિસ તરીકે સેવા પણ આપે છે. તે દુર્ઘટના સમયે દુનિયાના ડોક્ટર્સને તેની સાથે જોડીને તેમની પાસેથી ટેલી-હેલ્થકેર કન્સલ્ટેશનની સુવિધા પૂરી પાડવાનું શરૂ કરે છે. વધુમાં તે ટેલી-હેલ્થકેર ટેક્નોલોજી મારફત માનવજાત, પશુઓ અને કૃષિ-પાકની પુનઃ સ્થાપનની પ્રક્રિયા માટે દેશને મદદરૂપ પણ થાય છે.