ન્યુ ઝીલેન્ડે ભારતથી આવતા લોકોની એન્ટ્રી પર મુક્યો પ્રતિબંધ

 

 

નવી દિલ્હીઃ જે રીતે ભારતમાં કોરોના વાઇરસ બેકાબૂ બની રહ્યો છે તે જોતા સમગ્ર દુનિયાની નજર હાલ ભારત પર અટકી છે. ભારતની સ્થિતિને ધ્યાનમાં રાખીને ન્યુ ઝીલેન્ડે ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. ન્યુ ઝીલેન્ડે ભારતથી આવનારા મુસાફરો પર પ્રતિબંધ મુકી દીધો છે જે ૧૧મી એપ્રિલથી અમલી ગણાશે. 

ન્યુ ઝીલેન્ડના વડાં પ્રધાન જેસિન્ડા આર્ડેને ૧૧મી એપ્રિલથી ૨૮મી એપ્રિલ સુધી ભારતથી આવતા લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂક્યો છે તેવી જાહેરાત કરી હતી. આ નિયમ ન્યુ ઝીલેન્ડમાં ૧૧મી એપ્રિલે સાંજે ૪ઃ૦૦ વાગ્યાથી લાગુ કરી દેવામાં આવશે. જો ન્યુ ઝીલેન્ડની કોઈ વ્યક્તિ ભારતમાં હશે અને આ દરમિયાન પરત જવા ઈચ્છતી હશે તો તેને પણ પોતાના દેશમાં એન્ટ્રી નહીં મળે. મતલબ કે, હવે ૨૮મી એપ્રિલ બાદ જ કોઈ ભારતથી ન્યુ ઝીલેન્ડ જઈ શકશે. ઉપરાંત ભવિષ્યમાં શું સ્થિતિ રહે છે તેના આધારે આ નિયમ લાગુ રાખવો કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે.