નવુ મંદિર બને ત્યાં સુધી ક્યાં બિરાજમાન રહેશે રામલલા, જાણો

 

લખનૌઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન બાદ શનિવારથી રામ મંદિરનું બાંધકામ શરૂ કરવામાં આવશે. મંદિર બનતા લગભગ ૩ વર્ષ લાગવાના છે. આ દરમિયાન રામલલા ક્યાં બિરાજમાન રહેશે તે જાણવાની ભાવિકોને ઉત્સુકતા હોય તે સ્વાભાવિક છે. રામલલાની મૂર્તિને છેલ્લાં ૨૮ વર્ષથી એક ટેન્ટ અને ફાઈબરના બનેલા નાનકડા મંદિરમાં પધરાવવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મંદિર નિર્માણની જાહેરાત થયા બાદ રામલલાને આ વર્ષે માર્ચ મહિનામાં ફાઈબરના બનેલા એક કામચલાઉ મંદિરમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. હવે રામલલા ત્રણ વર્ષ આ જ મંદિરમાં બિરાજશે. આ એક એસી મંદિર છે. આગામી ૩ વર્ષ સુધી ભાવિકો અહીંયા રામલલાના દર્શન કરી શકશે. દેખાવમાં કામચલાઉ મંદિર નાનું છે પણ તેમાં તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. મંદિરના પૂજારી પણ પૂજા કરવામાં મળી રહેલી સગવડોથી ખુશ છે.