
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ગણતંત્ર દિનના પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવા અસંમતિ દર્શાવી ત્યારબાદ આ મહત્વના પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કયા રાષ્ટ્રના વડાને આમંત્રિત કરવા એ અંગે વિચાર- વિમર્શ ચાલી રહયો હતો. હવે મળેલી માહિતી અનુસાર, આગામી 26 જાન્યુઆરી , 2019ના ગણતંત્રદિનની ઉજવણી પ્રસંગે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાયરીલ રામાપોસા મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. તેમણે ભારત સરકારના આમંત્રણનો સ્વીકાર કર્યો છે. સાયરીલ રામાપોસા ગાંધીજીના ચુસ્ત ટેકેદાર છે.તેઓ નેલ્સન મંડેલાની પસંદગીની વ્યક્તિ છે. તાજેતરમાં રાષ્ટ્રપતિ સાયરીલ રામાપોસાએ જહોનિસબર્ગના દક્ષિણ વિસ્તારમાં આવેલા લિનાસિયામાં 5000 લોકોના સમૂહની આગેવાની લઈને ગાંધી કૂચ કરી હતી. મોદી સરકાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતી વિશેષ રીતે ઉજવવાનું આયોજન કરી રહી છે . આથી ગણતંત્રદિનની ઉજવણીના પ્રસંગે રાષ્ટ્રપતિ સાયરીલ રામાપોસાની ઉપસ્થિતિ મહત્વની બની રહેશે