અમરાહોઃ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પશ્ચિમ ઉત્તરપ્રદેશની મુલાકાત દરમિયાન અમરોહામા તોફાની તત્ત્વોને ચેતવણી આપી હતી કે જો તોફાનો કરશો તો ભરપાઈ કરતાં-કરતાં સાત પેઢીઓ વેચાઈ જશે. અમરોહામાં રૂ. ૪૩૩ કરોડની વિકાસ યોજનાનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું અને દાવો કર્યો હતો કે રાજ્યમાં છેલ્લાં ચાર વર્ષથી તોફાનાની એક પણ ઘટના બની નથી. યોગીએ પોતાની સરકારની સફળતાઓ ઉલ્લેખ કરીને સમાજવાદી પાર્ટીની અગાઉની સરકાર પર પ્રહારો પણ કર્યા હતા. જાહેર સંપત્તિને નુકસાન બદલ વસૂલાત અંગે યોગીએ જણાવ્યું હતું કે રાજ્યની સરકારને સાડા ચાર વર્ષ પૂરા થયા છે, પરંતુ રમખાણની એક પણ ઘટના થઈ નથી. અમે તોફાનીઓને ચેતવણી આપતા કહ્યું હતું કે જો રાજયોમાં રમખાણ કરશો તો સંપત્તિ જપ્ત થશે. જાહેર સંપત્તિ, ગરીબોના મકાનો સળગાવશો તો સાત પેઢીઓ ભરપાઈ કરતાં કરતાં કરતા થાકી જશે, પરંતુ ભરપાઈ નહીં કરી શકે.
સમાજવાદી પાર્ટી પર હુમલો કરતાં યોગીએ જણાવ્યું હતું કે અગાઉની સરકારમાં તમારા જિલ્લાની ચિંતા થતી ન હતી. તેમના સમયમાં વિકાસની યોજના આવે ત્યારે નેતાઓ અંદરો-અંદર વહેંચણી કરતા હતા અને લોકોને લાભ મળતો ન હતો.
એક કાર્યક્રમને સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે અમરોહાને આજે એકસાથે રૂ. ૪૩૩ કરોડની યોજનાની ભેટ મળી છે. કોરોનાકાળમાં જનધન ખાતામાં સરકાર પૈસા જમા કરી રહી છે. વૃદ્ધ અને નિરારશ્રત મહિલાઓના પેન્શન ખાતામાં પૈસા જમા કરવાનું સરકાર કામ કરી રહી હતી. ખેડૂત ભાઇઓને સમયસર કિસાન સન્માન નિધિ આપવાનું અને ગરીબોને મફત રાશન આપવાનું કામ ભાજપ સરકારે કર્યું છે. વિરોધ પક્ષો પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે કોરોના કાળમાં વિરોધ પક્ષો ટ્વીટર પર ઉપદેશ આપતા હતા. તેમાંથી કોઇએ મદદ કરી ન હતી. માત્ર સરકાર, હેલ્થ વર્કર, સ્વૈચ્છિક સંગઠનો અને ભાજપના કાર્યકરોએ મેદાનમાં ઊભા રહ્યાં હતા. વિરોધ પક્ષના લોકો ગાયબ થઈ ગયા હતા.