ડો. સુધીર પરીખને સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ પ્રદાન

0
1123
ડો. સુધીર પરીખને સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ પ્રદાન અમદાવાદમાં બીજી ફેબ્રુઆરીએ વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત એવોર્ડ સમારંભમાં ડાયસ પર ઉપસ્થિત મહાનુભાવોમાં (ડાબેથી) વિશ્વ ગુજરાતી સમાજના વાઇસ પ્રેસિડન્ટ સવજીભાઈ વેકરિયા, સિનિયર વાઈસ પ્રેસિડન્ટ હેમરાજ શાહ, પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર-ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખ, વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ કૃષ્ણકાંત વખારિયા, ગુજરાતના રાજ્યપાલ ડો. ઓ. પી. કોહલી, અતિથિવિશેષ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, રિસર્ચ ડાયરેકટર ડો. અશોક વૈદ્ય. (તમામ ફોટોઃ દિગંત સોમપુરા)

અમદાવાદઃ વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ અને શ્રી કાનજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા એવોર્ડ પ્રદાન સમારંભ અમદાવાદમાં બીજી ફેબ્રુઆરી, શુક્રવારે યોજાયો હતો.

ભારત-અમેરિકી સમાજના શ્રેષ્ઠીજન અને અમેરિકાસ્થિત પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર-ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખને સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ, પ્રશસ્તિપત્ર, સ્મૃતિચિહ્ન અને રૂ. અઢી લાખનો રોકડ પુરસ્કાર પ્રદાન થયો હતો, જયારે રિસર્ચ ડાયરેકટર ડો. અશોક વૈદ્યને શ્રી કાનજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા એવોર્ડ, પ્રશસ્તિપત્ર, સ્મૃતિચિહ્ન અને રૂ. એક લાખનો રોકડ પુરસ્કાર એનાયત થયો હતો.

સમારંભના અધ્યક્ષસ્થાને ગુજરાતના રાજ્યપાલ ઓ. પી. કોહલી અને અતિથિવિશેષપદે જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે વિશ્વ ગુજરાતી સમાજના ઉપક્રમે સુરુચિ ટ્રસ્ટ-સુરતના સહયોગથી સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ પ્રસ્થાપિત છે અને શ્રી કનૈયાલાલ દેસાઈ સ્મારક ટ્રસ્ટ-સુરતના સહયોગથી શ્રી કાનજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા એવોર્ડ પ્રસ્થાપિત છે.

સમારંભનો આરંભ ‘જય જય ગરવી ગુજરાત ’ ગીતથી થયો હતો.

સ્વાગત પ્રવચન કરતાં વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ કૃષ્ણકાન્ત વખારિયાએ ડો. સુધીર પરીખ અને ડો. અશોક વૈદ્યનો પરિચય આપ્યો હતો. કૃષ્ણકાન્ત વખારિયાએ કહ્યું કે વિવિધ ક્ષેત્રે સમાજસેવા કરતા આ બન્ને મહાનુભાવોનું ઋણ અદા કરવાનો આ અવસર છે.

રાજ્યપાલ ઓ. પી. કોહલીને સ્મૃતિચિહ્ન અર્પણ કરી, શાલ ઓઢાડી સૂતરની આંટીથી સન્માન કરવામાં આવ્યું હતું.
ડો. સુધીર પરીખના પ્રશસ્તિપત્રનું વાંચન જુલી દેસાઈએ કર્યું હતું, જ્યારે ડો. અશોક વૈદ્યના પ્રશસ્તિપત્રનું વાંચન માલતીબહેને કર્યું હતું.

રાજ્યપાલ ઓ. પી. કોહલીના હસ્તે ડો. સુધીર પરીખને શાલ ઓઢાડી રોકડ ધનરાશિ, પ્રશસ્તિપત્ર, સ્મૃતિચિહ્ન પ્રદાન કરવામાં આવ્યાં હતાં, જ્યારે ડો. અશોક વૈદ્યને પણ રાજ્યપાલના હસ્તે રોકડ ધનરાશિ, પ્રશસ્તિપત્ર, સ્મૃતિચિહ્ન પ્રદાન કરવામાં આવ્યાં હતાં.

વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત એવોર્ડ સમારંભમાં રાજ્યપાલ ઓ. પી. કોહલીના હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ સ્વીકારતા પદ્મશ્રી ડો. સુધીર પરીખ સાથે વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ કૃષ્ણકાંત વખારિયા નજરે પડે છે

રાજ્યપાલ ઓ. પી. કોહલીએ આ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ ડો. સુધીર પરીખ અને ડો. અશોક વૈદ્યને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે આ બન્ને મહાનુભાવો જનસેવક છે અને સમાજસેવા કરી રહ્યા છે તે બદલ તેમનું સન્માન કરાયું છે. આ બન્ને પ્રતિભાઓએ કર્તૃત્વ દ્વારા સમાજસેવા-જનસેવા-રાષ્ટ્રસેવા કરીને સમાજનું ઋણ અદા કર્યું છે અને ઋણમુક્ત થયા છે, ત્યારે આપણે પણ તેમના માર્ગે ચાલીને સમાજસેવા કરીને ઋણ અદા કરવું જોઈએ. દરેક માનવીને ત્રણ ઋણ હોય છે, દેવઋણ, પિતૃઋણ, ઋષિઋણ. આપણે પ્રકૃતિ પર્યાવરણનું રક્ષણ કરીને ધરતીમાતાનું ઋણ અદા કરીએ. આપણાં સંતાનોને પ્રતિભાશાળી બનાવીએ, જેથી તેઓ સમાજસેવા કરી શકે. કઠોર સાધના કરી વિજ્ઞાની-ડોક્ટર તૈયાર કરીએ જેથી તેઓ સમાજના કલ્યાણ માટે કાર્ય કરી શકે અને ઋષિઋણ અદા કરી શકે. આ ઉપરાંત આપણા પર સમાજ-રાષ્ટ્રઋણ પણ છે. આપણે અનેક પ્રકારનાં ઋણનો બોજ ઉતારવાનો વિનમ્ર પ્રયાસ કરીએ. આ બે મહાનુભાવોએ આ ઋણ ઉતારવાનો પ્રયાસ કર્યો છે. ડો. સુધીર પરીખ અમેરિકામાં વસીને જનસેવા કરી રહ્યા છે અને દેશભક્તિ-રાષ્ટ્રભક્તિનું કાર્ય કરે છે. તેમની સમાજસેવાના કારણે તેમને પદ્મશ્રી મળ્યો છે. આ ઉપરાંત ડો. અશોક વૈદ્ય પણ આયુર્વેદ સંશોધન થકી દેેશની સેવા કરે છે. આ બન્ને મહાનુભાવોએ પોતાના હિત માટે નહિ, સમાજકલ્યાણ માટે કર્યું છે અને તેને ઉજાગર કરવાનું સંસ્થાએ કાર્ય કર્યું છે. માનવસેવા એ જ ભગવાનની સેવા છે. માનવસેવાના માર્ગે આ બન્ને મહાનુભાવો આગળ વધી રહ્યા છે તે ગૌરવની બાબત છે.
વિષ્ણુ પંડ્યાએ વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે વિવિધ ક્ષેત્રે દેશવિદેશમાં વસતા ગુજરાતીઓએ જે નોંધપાત્ર કામગીરી કરી છે તેમને સન્માનવાનો વિશ્વ ગુજરાતી સમાજનો ઉપક્રમ વર્ષોથી ચાલે છે. વિશ્વ ગુજરાતી સમાજ જે સન્માન આપે છે તે ગુજરાતનું નોબેલ પ્રાઇઝ છે.

વિષ્ણુ પંડ્યા, ગૂજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર-સર્ચ કમિટીના સભ્ય ડો. અનામિક શાહ, સર્ચ કમિટીના સભ્ય ડો. પ્રશાંત ભીમાણીનું શાલ-સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરાયું હતું.

પ્રતિભાવ આપતાં ડો. અશોક વૈદ્યે કહ્યું હતું કે આધ્યાત્મિક વિકાસ વિનાનો વિકાસ એ વિકાસ નથી. ગુજરાતની ભૂમિ પર ભગવાન કૃષ્ણ, ભગવાન સ્વામીનારાયણ, ગાંધીજી, દયાનંદ સરસ્વતી જેવી વિભૂતિઓએ જન્મ લીધો છે જેના કારણે ગુજરાત બીજા પ્રાંતો કરતાં આર્થિક-સાંસ્કૃતિક રીતે સુખી છે. ગુજરાતને આધ્યાત્મિક પુરુષોના આશીર્વાદ મળ્યા છે. આથી આધ્યાત્મિક ધરોહર જાળવવી જોઈએ, જ્યાં અન્યાય થાય છે ત્યાં અવાજ ઉઠાવવાનું ગુજરાતીઓનું કર્તવ્ય છે. ડો. અશોક વૈદ્યે ગાંધીજીનાં મૂલ્યો જીવંત રાખવાની પણ વાત કરી હતી.

 

 

પ્રતિભાવ વ્યક્ત કરતાં ડો. સુધીર પરીખે જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ પ્રાપ્ત કરતાં આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આ અભૂતપૂર્વ સન્માન મને પ્રાપ્ત થયું છે તે બદલ હું આનંદની અનુભૂતિ વ્યક્ત કરું છું. હું પ્રમુખ કૃષ્ણકાન્ત વખારિયા અને અન્યોનો આભારી છું જેમણે મારું સન્માન કર્યું છે.
આ એવોર્ડ પ્રદાન થતાં હું લોર્ડ મેઘનાદ દેસાઈ, રાજમોહન ગાંધી, લોર્ડ ભીખુ પારેખ અને અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ જેવાં વ્યક્તિવિશેષોની યાદીમાં જોડાયો છું તેનો સવિશેષ આનંદ છે. આ રોકડ ધનરાશિ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્ન બદલ હું પ્રમુખ વખારિયાનો આભાર માનું છું. 2010માં પદ્મશ્રી એવોર્ડ, 2012માં નાઇટ ઓફ ધ એક્યુમેનિકલ હોસ્પિટોલર ઓર્ડર ઓફ સેન્ટ જોહન નાઇટ્સ ઓફ માલ્ટા એવોર્ડ, 2006માં પ્રવાસી ભારતીય સમ્માન મળ્યું હોવા છતાં પણ આ એવોર્ડ અને સન્માન મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે દુનિયાની સર્વોચ્ચ ગુજરાતી સંસ્થા તરફથી મને મળ્યું છે. મને મળેલી આ ધનરાશિ હું વિશ્વ ગુજરાતી સમાજને પરત કરું છે, જેનો ઉપયોગ સંસ્થા વિવિધ માનવતાવાદી કાર્યો-પ્રવૃત્તિઓમાં કરી શકશે. વિશ્વ ગુજરાતી સમાજ સંસ્થા વંચિત બાળકો અને મહિલાઓને વધુ સારું જીવન જીવવામાં મદદરૂપ થવાનું ઉત્તમ કાર્ય કરી રહી છે. મને આશા છે કે મારું આ દાન આ ઉમદા કાર્યને આગળ ધપાવવા મદદરૂપ થશે.

ડો. સુધીર પરીખે કહ્યું કે જ્યારે તમે ગુજરાત અને ગુજરાતીઓ વિશે વાત કરતા હો ત્યારે સૌપ્રથમ આપણને એ જ વિચાર આવે કે આ ઉદ્યોગસાહસિક પ્રજા છે અને જ્યાં ગુજરાતી પ્રજા સ્થાયી થઈ છે ત્યાં તેમની પ્રશંસા થઈ છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા રજૂ થયેલા સોવેનિયર નેશન્સ તરીકે નોંધાયેલા 190 દેશોમાંથી 129 દેશોમાં ગુજરાતીઓ સ્થાયી થયેલા છે. વિશ્વવ્યાપી ભારતીય ડાયસ્પોરાના લગભગ 33 ટકા ગુજરાતીઓ છે. અમેરિકામાં સૌથી વિશાળ સંખ્યામાં 15 લાખ ગુજરાતીઓ છે, યુકેમાં સાત લાખ ગુજરાતીઓ વસે છે, ત્યાર પછી કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ન્યુ ઝીલેન્ડમાં ગુજરાતીઓની વધુ સંખ્યા છે.

વિશ્વ ગુજરાતી સમાજ અમદાવાદમાંથી જે કામગરી કરી રહ્યો છે તે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. તેઓ ગુજરાતીઓને વિશ્વસ્તરે પ્લેટફોર્મ પૂરું પાડવામાં મદદરૂપ થાય છે, એટલું જ નહિ, ભાવિ પેઢીને તેમનાં મૂળ, વારસો, પરંપરા સાથે જીવવા માટે પણ ઘડતર કરે છે. ઘણાં વર્ષોથી વિશ્વ ગુજરાતી સમાજે માનવતાવાદી કાર્યો કર્યાં છે.
ડો. સુધીર પરીખે ઉમેર્યું કે તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદ સાથે, મેં ન્યુ યોર્કમાં થિન્ક ટેન્ક પરીખ ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા’ઝ ગ્લોબલ ડેવલપમેન્ટની શરૂઆત કરી છે જે અમેરિકા-ભારત વચ્ચેના રાજકીય મુદ્દાઓ વિશે કાર્યરત છે. ભારતીય-ગુજરાતી દ્વારા પશ્વિમના દેશમાં શરૂ થયેલી આ સૌપ્રથમ થિન્ક ટેન્ક છે. ડો. પરીખે કહ્યું કે અમેરિકામાં તેઓ ટૂંક સમયમાં નવી ટેલિવિઝન ન્યુઝ-એન્ટરટેઇનમેન્ટ ચેનલ લોન્ચ કરી રહ્યા છે.

રાજ્યપાલ ઓ. પી. કોહલીના હસ્તે શ્રી કાનજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા એવોર્ડ સ્વીકારતા ડો. અશોક વૈદ્ય.

વિશ્વ ગુજરાતી સમાજની પ્રશંસા કરતાં ડો. પરીખે જણાવ્યું કે ગુજરાતીઓ માટે વિશ્વ ગુજરાતી સમાજ ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી રહ્યો છે તેમ જ ગુજરાતીઓને જોડવાના તેમના હેતુમાં સખત મહેનત કરી રહ્યો છે. આભારવિધિ જય ચોકસીએ કરી હતી. સમારંભનું સંચાલન એસબીઆઇના કર્મચારી યુનિયનના પ્રમુખ એસ. એ. કાદરીએ કર્યું હતું.
આ સમારંભમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ સિતાંશુ યશશ્ચંદ્ર, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી એનઆરઆઇ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વ પ્રતિભા એવોર્ડ- ગુજરાત પ્રતિભા એવોર્ડ પ્રાપ્ત કરનારા મહાનુભાવો
વિશ્વ ગુજરાતી સમાજ બે પ્રતિષ્ઠિત સન્માન (એવોર્ડ) એનાયત કરે છે, તેમાંનો એક સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ છે. વિશ્વભરમાં મહત્ત્વના ક્ષેત્રોમાં પ્રદાન કરનાર ગુજરાતીને આ એવોર્ડથી નવાજવામાં આવે છે. આ એવોર્ડની ધનરાશિ રૂ. 2,50,000/- (અંકે રૂપિયા બે લાખ પચાસ હજાર પુરા)ની છે. આ ઉપરાંત પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્ન પણ અર્પણ કરવામાં આવે છે. એ જ રીતે શ્રી કાનજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા એવોર્ડ ગુજરાતમાં અને દેશમાં કામ કરનાર ગુજરાતી મહાનુભાવને આપવામાં આવે છે. તેમાં એવોર્ડની ધનરાશિ રૂા. 1,00,000/- (અંકે રૂપિયા એક લાખ પુરા)ની છે. આ ઉપરાંત પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્ન પણ અર્પણ કરવામાં આવે છે. સન 2017નો સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ પ્રખર પ્રકાશક-તબીબ-ફ્રીલાન્થ્રોપીસ્ટ ડો. સુધીર પરીખને આપવામાં આવ્યો છે. શ્રી કાનજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા એવોર્ડ નિષ્ણાત ડોકટર અને રીસર્ચ ડાયરેકટર ડો. અશોક વૈદ્યને એનાયત કરવામાં આવ્યો છે.
અત્યાર સુધીમાં સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ વિવિધ મહાનુભાવોને અપાયા છે.
1) શ્રી ચુનીભાઈ વૈદ્ય 2001 8) શ્રી કરસનભાઈ પટેલ 2008
2) બાબુભાઈ જ. પટેલ 2002 9) સુશ્રી ઈલાબહેન ભટ્ટ 2009
3) ડો. આઇ.જી. પટેલ 2003 10) લોર્ડ ભીખુભાઈ પારેખ 2010
4) શ્રી સામ પિત્રોડા 2004 11) ડો. રાજમોહન ગાંધી 2011
5) સ્વામી સચ્ચિદાનંદજી 2005 12) શ્રી દિનશા પટેલ 2012
6) સુશ્રી સુનિતા વિલિયમ્સ 2006 13) લોર્ડ મેઘનાદ દેસાઈ 2013
7) ડો. રમણિકભાઈ દોશી 2007
શ્રી કાનજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા એવોર્ડ નીચેના મહાનુભાવોને અપાયા છે.
(1) શ્રી કીકુભાઈ નાયક – 2002 (9) ડો. કે.એમ. આચાર્ય – 2010
(2) સુશ્રી પૂર્ણિમાબહેન પકવાસા – 2003 (10) સેવા રૂરલ-ઝઘડિયા – 2011
(3) શ્રી ગોરધનભાઈ પટેલ – 2004 (11) ડો. સુશિલાબહેન શેઠ – 2012
(4) શ્રી મણીભાઈ દોશી – 2005 (12) સ્વ.શ્રી ધીરૂભાઈ ઠાકર – 2013
(5) ડો. ઠાકોરભાઈ પટેલ – 2006 (13) શ્રી સનતભાઈ મહેતા – 2014
(6) સુશ્રી જ્યાબહેન શાહ – 2007 (14) ડો. કુમારપાળ દેસાઈ – 2015
(7) શ્રી કુન્દનલાલ ધોળકિયા – 2008 (15) ડો. સી.એલ. પટેલ – 2016
(8) ડો. એચ.એલ. ત્રિવેદી – 2009