જો કાબા અને મદીના બંધ થઈ શકે તો ભારતની મસ્જિદો કેમ નહિઃ જાવેદ અખ્તર

 

મુંબઈઃ દેશભરમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસ વધી રહ્યાં છે. અધિકૃત માહિતી મુજબ ભારતમાં સંક્રમણના કેસ ૧૧૦૦ પાર પહોંચી ગયા છે. સમગ્ર દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરાયેલું છે. આ બધા વચ્ચે જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે ભારતીય મસ્જિદોને બંધ કરાવવાની માગણી પણ ઉઠાવી છે. તેમણે ઈસ્લામિક સ્કોલર અને અલ્પસંખ્યક આયોગના પૂર્વ ચેરમેન તાહિર મહેમૂદની વાતનો હવાલો આપતા આ અંગે ટ્વીટ કરી છે. 

જાવેદ અખ્તરે ટ્વીટર પર લખ્યું કે એક સ્કોલર અને માઈનોરિટી કમિશનના પૂર્વ ચેરમેન તાહિર મહેમૂદ સાહેબે દારૂલ ઉલૂમ દેવબંધને એક ફતવો બહાર પાડીને જણાવવા કહ્યું છે કે જ્યાં સુધી કોરોના સંકટ છે ત્યાં સુધી તમામ મસ્જિદોને બંધ કરવામાં આવે. હું આ માગણીનું સંપૂર્ણ સમર્થન કરું છું. જો કાબા અને મદીનામાં મસ્જિદ બંધ કરી શકાતી હોય તો ભારતીય મસ્જિદો કેમ નહિ. (ગુજરાત ટાઇમ્સ સંકલન)