જાણીતા પત્રકાર ઇસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા

 

અમદાવાદઃ જાણીતા પત્રકાર ઇસુદાન ગઢવી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા હતા. અને તેમની સાથે મિટીંગનો દૌર ચાલ્યો હતો. ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ ઇસુદાન ગઢવીના આમ આદમી પાર્ટીમાં જોડાવવાની સત્તાવાર જાહેરાત કરી હતી. ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે ઇસુદાન ગઢવીના જોડાવવાથી પાર્ટી મજબૂત બનશે. અરવિંદ કેજરીવાલે પાર્ટીનો ખેસ પહેરાવીને ઇસુદાન ગઢવીને આપમાં પ્રવેશ કરાવ્યો હતો. 

આ દરમિયાન આમ આદમી પાર્ટીમાં જોડાવાની સાથે જ વીટીવી ન્યુઝ ચેનલના એડિટર ઈસુદાન ગઢવીએ કહ્યું કે મેં લોકોના અવાજ ટીવી પર ઉઠાવ્યા અને તેનાથી તેમને લાભ થયા છે. લોકોની અપેક્ષા વધવા લાગી કે ઇસુદાનને સમસ્યા પહોંચાડી દો તો તેનો ઉકેલ આવી જશે. ગુજરાતની જનતાએ મને અઢળક પ્રેમ આપ્યો છે. પહેલાં પણ લોકસેવા અને સમાજસેવાનું કામ કરતો હતો અને રાજકારણમાં જોડાયા પછી પણ આજે એ જ એજન્ડા છે. જ્યારે હું ડિબેટમાં નેતાઓને એવું કહેતો કે આમ કરવું જોઇએ ત્યારે સામેથી જવાબ આવતો હતો કે માત્ર ટીવી ડિબેટથી નહી પણ લોકોની વચ્ચે જવું જોઇએ.