
તાજેતરમાં જમ્મુ- કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબદુલ્લાના ઘરની અંદર પ્રવેશવાને ઓક નકાબધારી માણસે પ્રયાસ કર્યો હતો. મોટરકાર લઈને આવેલા આ નકાબધારી ચાલકે ફારુક અબદુલ્લાના ઘરના દરવાજા પાસે લાગેલા બેરિકોડને તોડીને તેમના ઘરમાં દાખલ થવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં હાજર રહેલા સુરક્ષાદળોએ કાર પર ફાયરિંગ કરીને હુમલાખોરને રોકવાની કોશિશ કરી હતી. તેમાં કાર સવાર નકાબધારીનું મૃત્યુ નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફારુક અબદુલ્લા જમ્મુના બઠિંડા વિસ્તારમાં રહે છે. સવારના સમયે જ આ ઘટના બની હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતાં જમ્મુ- કાશ્મીરના પોલીસતંત્રના ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા. મૃતકના પિતાએ કહયું હતું કે, ગઈકાલે રાતના તે મારી સાથે જ હતો. તે રોજ સવારે જિમમાં જાય છે અને આજે પણ એ ત્યાં જ ગયો હતો. જયારે તેની કારે ગેટ તોડ્યો ત્યારે સુરક્ષાકર્મીઓ કયાં હતા? તે સમયે જ તેની ધરપકડ કેમ ના કરી?