ગુજરાતમાં સંક્રમણ ઘટે છે : નવા ૧૧૦૮૪ કેસ

 

અમદાવાદઃ  રાજ્યમાં કોરોનાના કેસમાં સરકારી ચોપડે સતત ઘટાડો થઇ રહ્યો છે. ૧૯ દિવસ બાદ રાજ્યમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા ૨૪ કલાકમાં ૮૦૮ કેસના ઘટાડા સાથે ૧૧,૦૮૪ નવા કેસ અને ૩૩ દર્દીઓના વધારા ૧૪,૭૭૦ દર્દી સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં દૈનિક કેસની સરખામણીમાં ૩૬૮૬ દર્દી વધુ સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ૧૨૧ દર્દીઓને ભરખી જતા કોરોનાનો કુલ મૃત્યુઆંક ૮,૩૯૪ થયો છે. તો બીજી બાજુ કોરોનાના કુલ કેસનો આંક ૬,૮૦,૯૮૭ થયો છે. સાજા દર્દીનો આંક ૫,૩૩,૦૦૪ થતા ડીસ્ચાર્જ રિકવરી રેટ વધીને ૭૮.૨૭ ટકા થયો છે. 

અમદાવાદમાં સોમવારે પ્રથમ વાર ૩૦૦૦ની નીચે કેસ નોંધાવા પામ્યા છે. જ્યારે સુરત કરતા પ્રથમવાર વડોદરામાં કેસો વધુ નોંધાવા પામ્યા છે. અમદાવાદમાં ૨૯૫૫, વડોદરામાં ૧૧૬૧, સુરતમાં ૧૧૧૩, રાજકોટમાં ૭૪૬, જામનગરમાં ૫૮૬, જૂનાગઢમાં ૪૮૪, ભાવનગરમાં ૭૭૫, ગાંધીનગરમાં ૨૩૦ કેસ નોંધાયા છે. અમદાવાદમાં ૧૯, સુરતમાં ૧૨, વડોદરામાં ૧૨, રાજકોટમાં ૧૩, જામનગરમાં ૧૪, જૂનાગઢમાં ૧૧, ભાવનગરમાં ૪, ગાંધીનગરમાં ૧, મહેસાણામાં ૪, કચ્છમાં ૪ મૃત્યુ નોંધાવા પામ્યા છે.