
ન્યુ યોર્કઃ ભારતીય અમેરિકી ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશન ધ સુબરાજ ફાઉન્ડેશનનું ગયાના દેશમાં તેઓની વર્ષોની તબીબી સેવા બદલ તાજેતરમાં ઇન્ડિયન ડાયસ્પોરા કાઉન્સિલ ઇન્ટરનેશનલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ધ સુબરાજ ફાઉન્ડેશનનું સંચાલન એન્થની સુબરાજ અને વિભા સુબરાજ દ્વારા કરવામાં આવે છે, જે સદ્ગત ચંપાલક્ષ્મી નરોત્તમદાસ લાખાણીનાં પૌત્રી છે, જેમણે ફેબ્રુઆરી, 2018માં ગુજરાતમાં નપાણિયા ખીજડિયા ગામમાં 200 બાળકો માટે ધોરણ એકથી આઠની શાળાના નિર્માણ માટે એક લાખ ડોલરના દાનની સહાય કરી હતી.
સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકો અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને શીખી શકશે, જેની ખરીદી સુબરાજ ફાઉન્ડેશન દ્વારા અપાયેલી પાંચ હજાર ડોલરની ગ્રાન્ટમાંથી થઈ હતી.
સુબરાજ ફાઉન્ડેશનની શરૂઆત સદ્ગત જ્યોર્જ સુબરાજ દ્વારા થઈ હતી, જેમણે 1982માં ઝારા રિયલ્ટીની સ્થાપના કરી હતી.
ધ ઇન્ડિયન ડાયસ્પોરા કાઉન્સિલ ઇન્ટરનેશનલ દ્વારા સદ્ગત જયોર્જ સુબરાજ અને તેમના પરિવારને 18મી માર્ચે સદ્ગત ચેડ્ડી બી. જગનની 100મા જન્મજયંતીની ઉજવણી કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.
ચંપાલક્ષ્મી નરોત્તમ લાખાણી સ્કૂલનું લોકાર્પણ 17મી ફેબ્રુઆરીએ થયું હતું, જે ગ્લોબલ હ્યુમનિટેરિયન ઓર્ગેનાઇઝેશન પ્રોજેક્ટ લાઇફ સાથે ભાગીદારીમાં નિર્માણ પામી હતી. લાખાણી પરિવારની ત્રણ પેઢીઓ ઉદ્ઘાટન સમારંભમાં હાજર રહી હતી.