ન્યુ યોર્કઃ ગ્લોબલ ગાયત્રી પરિવારની ગાયત્રી શક્તિપીઠ દ્વારા તાજેતરમાં 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞ સાથે ઇલિનોઇસમાં લેક ઓપેકા ડિસ્પ્લેઇન્સમાં ગુરુપૂર્ણિમાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. શરૂઆતમાં પ્રજ્ઞા સંગીતની રજૂઆત કુસુમબહેન અને હર્ષાબહેન, ભાનુબહેન અને વિલાસબહેન અને રજનીભાઈ દ્વારા કરાઈ હતી.
મહાકાલ કી ગીતા કથામાં કુસુમબહેને જણાવ્યું કે સમાજસેવામાં જ ભગવાનની સેવા છે. મુખ્ય યજમાન વિષ્ણુભાઈ અને ચામબહેન પટેલ દ્વારા ડો. અમરતભાઈ પટેલ સાથે સોવેનિયર પુસ્તક મહાકાલ કી ગીતાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નેચરોપથી ડોક્ટર ડો. અમરતભાઈ પટેલે ભક્તોને જણાવ્યું હતું કે છેલ્લાં 35 વર્ષમાં કુદરતી રીતે 50 હજારથી વધુ દર્દીઓનો ઉપચાર કરવામાં આવ્યો છે. તેમણે ક્યારે, કેટલું અને કેવી રીતે ખાવું તેની ટેક્નિક દર્શાવી હતી. તેમણે કહ્યું કે તેઓ પોતાની સેવા ગાયત્રી શક્તિપીઠ શિકાગોમાં આપશે.
108 કુંડી ગાયત્રી મહાયજ્ઞ દરમિયાન સંગીતા ગુપ્તાની સીમંતવિધિ યજ્ઞ દરમિયાન કરવામાં આવી હતી. ભક્તોએ યજ્ઞનારાયણમાં આહુતિ આપી હતી.
ગાયત્રી યજ્ઞ દરમિયાન વિવિધ વિસ્તારોમાંથી આવેલૌ ભક્તોએ આહુતિ આપી હતી અને પૂજા કરી હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણીમાં ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો.