ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખપદેથી પરેશ ગજેરાનું રાજીનામું

રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખપદેથી પરેશ ગજેરાએ રાજીનામું આપતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. જોકે ચાર માસ અગાઉ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે રાજીનામું આપતાં વિવાદ થયો હતો અને નરેશ પટેલે રાજીનામું પાછું ખેંચ્યું હતું. કાગવડમાં નૂતન ભોજનાલયના લોકાર્પણ પછી યોજાયેલી બેઠકમાં પરેશ ગજેરાએ રાજીનામું આપ્યું હતું અને વ્યસ્તતાના કારણે ટ્રસ્ટના કામકાજમાં સમય ન આપી શકતાં રાજીનામું આપ્યું હોવાની વાત કરી હતી. ગજેરાએ રાજીનામું આપ્યા પછી ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ હતી. પણ પરેશભાઈએ તેનો ઇનકાર કર્યો હતો. જોકે સંકેત એવો મળે છે કે હાલમાં ભલે ગજેરા રાજકારણમાં ન જાય, પણ નજીકના ભવિષ્યમાં રાજકારણમાં આવી શકે છે. તેમણે એક મુલાકાતમાં લોકસભાની ચૂંટણી લડવાની ઓફર આવે તો? તેના જવાબમાં કહ્યું કે લોકસભાની ચૂંટણી લડીશ તો પણ નરેશભાઈનું માર્ગદર્શન લઇને લડીશ.