‘કોરોના હવાથી પણ ફેલાઇ શકે છે!’

 

નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થાએ હવે કોરોના વાઇરસ હવાથી ફેલાવાની શકયતાને સ્વીકારી લીધી છે. WHO ટેકનિકલ હેડ મારીઆ વાન કરખોવે કહ્યું હતું કે, આ પ્રકારની સંભાવના નકારી ન શકાય. જો કે, હજુ આ અંગે તમામ તજજ્ઞો પાસેથી અભિપ્રાય મેળવાશે. સાથોસાથ ટૂંક સમયમાં નવી માર્ગદર્શિકા પણ જારી કરી શકાય છે. તજજ્ઞોનો એવો મત છે કે, કોરોના વાઇરસ હવામાંથી ફેલાય છે, તો પણ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે. એક મીટરનું અંતર વધારવા પર પણ વિચાર નવી માર્ગદર્શિકામાં કરાય તેવી  શકયતા છે, ખાસ કરીને ભીડવાળી જગ્યાઓ પર જોખમ વધી શકે છે. દુનિયાના ૩૨ દેશોના ૨૩૯ વૈજ્ઞાનિકોએ ખુલ્લો પત્ર લખીને કહ્યું હતું કે, WHOએ હવામાં વાઇરસ ફેલાતો હોવાની વાત માની લેવી જોઇએ. દરમ્યાન, જિનીવામાં WHOનાં  અધિકારી બેલેડેટા અલ્લેગ્રાંજીએ કહ્યું હતું કે, કોરોના વાઇરસનું સંક્રમણ હવાનાં માધ્યમથી ફેલાતું હોવાના કેટલાક આધારો પણ મળ્યા છે.