
તિરૂવનંતપુરમ-બેન્ગલોરઃ કાળઝાળ ગરમીથી પરેશાન ભારતના નાગરિકોને રાહત થાય તેવા સમાચાર આવ્યા છે. કેરળમાં નિયત સમય કરતા ત્રણ દિવસ વહેલા ચોમાસાનું આગમન થયું છે. નૈઋ્ત્યનું ચોમાસુું મંગળવારે કેરળ આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે મંગળવારે નૈઋ્ત્યનું ચોમાસનું આગળ વધ્યું છે અને તેમાં કેરળ ઉપરાંત તામિલનાડુ અને બંગાળના અખાતમાં વિવિધ ભાગોમાં પહોંચી ગયું છે. કેરળમાં ત્રણ દિવસ અગાઉ એટલે કે 28મી મેએ ચોમાસું પહોંચી ગયું છે. સામાન્ય રીતે ચોમાસું દર વર્ષે પહેલી જૂનની આસપાસ પહોંચે છે અને દોઢ માસમાં સમગ્ર ભારતને આવરી લે છે. ચોમાસું સૌથી છેલ્લે રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પહોંચતું હોય છે.
ચોમાસાએ સતત બીજા વર્ષે વહેલી પધરામણી કરી છે. ગત વર્ષે પણ 30મી મેએ તેનું આગમન થયું હતું. દક્ષિણ ભારતમાં કેરળમાં ચોમાસું બેસી જતાં દેશમાં ચાર માસ લાંબી વરસાદી સીઝનનો આરંભ થઈ ગયો છે. સોમવારે કેરળના દરિયાકિનારે તેજ પવન ફૂંકાયો હતો અને કાળાંડિબાંગ વાદળો ઘેરાયાં હતાં. છૂટોછવાયો વરસાદ પણ પડ્યો હતો. કોચી દરિયાકિનારે ઊંચાં મોજાં પણ ઊછળ્યાં હતાં.
દરમિયાન કર્ણાટકમાં વાવઝોડા મેકુનુએ દરિયા-કિનારાનાં શહેરોને ધમરોળ્યાં હતાં. તોફાની વરસાદના પગલે મેંગલોર અને ઉડિપી શહેરમાં ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ત્રણ કલાકના વરસાદમાં મેંગલોર જળબંબાકાર થઈ ગયું હતું.
ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં વાવાઝોડા અને વીજળીના કારણે 54 નાગરિકોનાં મોત થયાં છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં આંધીથી 45નાં મોત થયાં હતાં.
ચાલુ વર્ષે મેે માસમાં ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં વિવિધ સ્થળે આંધીના કારણે અત્યાર સુધીમાં 262નાં મોત થયા છે. ઝારખંડ અને મધ્ય પ્રદેશમાં વીજળી પડતાં 14નાં મોત થયા હતાં. ઝારખંડમાં વાવાઝોડા સાથે વરસાદમાં સંખ્યાબંધ વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયાં હતાં.