
પાકિસ્તાનની ઈમરાન સરકારના પ્રધાન શિરીન માજારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનની નવી વરાયેલી ઈમરાન સરકાર કાશ્મીરના પ્રશ્નના ઉકેલ માટે ગંભીર છે. કાશ્મીરની સમસ્યાના નિરાકરણ માટે સરકાર એક પ્રસ્તાવ તૈયાર કરી રહી છે. એ પ્રસ્તાવ તૈયાર થશે કે તરત જ એને પાકિસ્તાનના પ્રધાનમંડળ – કેબિનેટમાં પેશ કરવામાં આવશે. અન્ય પક્ષો સાથે પણ એ અંગે ચર્ચા- વિચારણા કરવામાં આવશે.ઉપરોકત પ્રસ્તાવ લગભગ તૈયાર જ છે. એને જેમ બને એમ જલ્દી રજૂ કરાશે.
પાકિસ્તાનના નવા વરાયેલા વડાપ્રધાન ઈમરાન ખાને પોતાના સૌપ્રથમ રાષ્ટ્ર જોગા પ્રવચનમાં કહયું હતું કે, અમે્ ભારત સાથેના સંબંધો સુધારવા માગીએ છીએ. ભારત – પાકિસ્તાને સાથે બેસીને, ચર્ચા- વિચારણા કરીને બધા પ્રશ્નો ઉકેલવા જોઈએ. એ જ સાચો રસ્તો છે.બલુચિસ્તાનમાં થતી ગતિવિધિ માટે આપણે ભારતને જવાબદાર માનીએ છીએ, તે જ રીતે કાશ્મીરમાં બનતી ઘટનાઓ માટે તેઓ આપણને જવાબદાર માને છે. આ બધું ભૂલીને આપણે હવે નવેસરથી વિચારવું જોઈએ. જો ભારત સહકાર માટે એક પગલું ભરશે તો તેના પ્રતિભાવમાં પાકિસ્તાન બે પગલાં ભરશે.,