કઠલાલઃ કઠલાલમાં ૧૦૦ વર્ષથી વધુ જૂના વકીલ કે. એમ. એજયુકેશન સોસાયટી સંકુલમાં ચારુસેટ વિદ્યાલયની સ્થાપના માટે તાજેતરમાં ગુજરાત સરકારની મંજૂરી પ્રાપ્ત થઈ છે. ચારુસેટ વિદ્યાલયને ધોરણ ૧ થી ૫ નોન ગ્રાન્ટેડ અંગ્રેજી-ગુજરાતી માધ્યમની મંજૂરી સરકાર તરફથી મળી છે. ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને વકીલ કે. એમ. એજયુકેશન સોસાયટી કઠલાલ દ્વારા ચારુસેટ વિદ્યાલયની સ્થાપના કરવા માટે હાથ મિલાવવામાં આવ્યા છે. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણમાં એકબીજાના પ્રયાસો અને સહકાર થકી ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે આ કરાર કરવામાં આવ્યા છે.
કઠલાલમાં આવેલું આ ટ્રસ્ટ ૧૦૦ વર્ષથી વધુ જૂનું છે જેમાં સન ૧૯૧૭માં રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીએ ખેડા જિલ્લાના ખેડૂતોના હિત માટે દેશનો પ્રથમ સામૂહિક સત્યાગ્રહ ના-કર ની લડત શ્રી શેઠ એમ. આર. હાઇ સ્કૂલ કઠલાલમાં રાત્રિ નિવાસ કરી ૧૮-૦૨-૧૯૧૮ના રોજ આ પવિત્ર સ્થળેથી પ્રતિજ્ઞા લઈ શરૂ કર્યો હતો. શેઠ એમ. આર. હાઇસ્કૂલની સ્થાપના ૨૩ ઓક્ટોબર ૧૯૦૮ના રોજ કરવામાં આવી હતી. જે જૂન ૧૯૪૬થી ધો. ૫ થી ૧૧ સુધીની સંપૂર્ણ હાઇ સ્કૂલ બની અને માર્ચ ૧૯૪૭થી મુંબઈ યુનિવર્સિટી તરફથી લેવાતી મેટ્રિકની પરીક્ષામાં સંસ્થાએ પોતાના વિદ્યાર્થીઓને બેસાડવાની શરૂઆત કરી હતી જેમાં હાલમાં ૨૩૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ૧૦૦ શિક્ષકો ફરજ બજાવે છે. ભૂતકાળમાં સરદાર પટેલ, ઇન્દિરા ગાંધી અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ગણમાન્ય મહાનુભાવોએ આ શાળાની મુલાકાત લીધી છે. વકીલ કે. એમ. એજયુકેશન સોસાયટીના મંત્રી અને ચારુસેટ વિદ્યાલયના કો ઓર્ડિનેટર નયન પટેલે જણાવ્યું કે આ મંજૂરી માટે મારા સ્કૂલના-મંડળના સભ્યો-કારોબારી સભ્યો-ટ્રસ્ટીઓ-ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર માનું છુ. આ ઐતિહાસિક સંસ્થાને નવી ઊંચાઈએ લઈ જવામાં અમે સૌ પ્રયત્નશીલ રહીશું. ઉલ્લેખનીય છે કે ફ્ખ્ખ્ઘ્ દ્વારા ખ્ ઞ્ય્ખ્ઝ઼ચ્થી પ્રમાણિત અને ૧૨૦ એકર હરિયાળા સંકુલમાં આવેલી વિશ્વવિખ્યાત ચારુસેટ યુનિ.માં નવ કોલેજોમાં વિવિધ પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં હાલમાં ૭૫૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રાષ્ટ્રીય સ્તરે ટોચની ૧૫૦ યુનિ.ઓમાં સ્થાન ધરાવે છે. આ મંજૂરીને આવકારતા શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના મંત્રી ડો. એમ. સી. પટેલે જણાવ્યું હતું કે તમામ વર્ગના બાળકોને ગુણવત્તાલક્ષી શિક્ષણ ઘરઆંગણે જ મળી રહે તે માટે અમારા સતત પ્રયાસો રહેશે.