એસસી- એસટી એકટ – કેન્દ્ર દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશન પર 10 દિવસ બાદ વિચારણા કરશે સુપ્રીમ કોર્ટ

0
861

અનુસૂચિત જાતિ – અનુસૂચિત જનજાતિ અધિનિયમ ( એસસી- એસટી એક્ટ) અંગે સુપ્રીમ કોર્ટના આદેશ પર પુનર્વિચારણા કરવા માટે સરકારે કરેલી પિટિશન -અરજી  હાથ ધરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આ અંગે 10 દિવસમાં સુનાવણી કરવામાં આવશે. ત્રણ દિવસના સમયની અવધિમાં તમામ પક્ષોએ પોતાનો ઉત્તર આપવાનો રહેશે. અદાલતે જણાવ્યું હતું કે, આ મામલામાં કોઈ પણ પ્રકારનો સ્ટે આપવામાં નહિ આવે. કોર્ટ પોતાના ફેંસલામાં કશું જ પરિવર્તન નહિ કરે. સરકાર દ્વારા પેશ કરાયેલી અરજીમાં સ્ટેની માગણી કરવામાં આવી હતી ,જેને અદાલતે નકારી કાઢી હતી.

     સુપ્રીમ કોર્ઠમાં આશરે એક કલાક સુધી ચાલેલી સુનાવણી દરમિયાન કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે, અમે એસસી- એસટી એકટના કોઈ પણ પ્રાવધાનને ( કાયદા અંતર્ગત જોગવાઈ) નબળું નથી કર્યું. પરંતું આ કાયદાનો ઉપયોગ નિર્દોષ લોકોને ડરાવવા માટે ન થવો જોઈએ.

સુપ્રીમ કોર્ટે આપેલા ફેંસલા બાદ દલિત સંગઠનોએ સોમવારે ભારત બંધનું એલાન કર્યું હતું. ભારત બંધ દરમિયાન 10થી વધુ રાજ્યોમાં હિંસાત્મક દેખાવો કરવામાં આવ્યા હતા. જેમાં આશરે 14 વ્યક્તિઓનાં મૃત્યુ નીપજ્યાં હતાં.