

તાજેતરમાં લખનઉ ખાતે બે દિવસીય ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદઘાટન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વની જાહેરાતો કરી હતી. ડિફેન્સ કોરિડોર માટે આશરે કુલ 20 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરાશે. યુપીમાં અંદાજે 4-28લાખ કરોડનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ અંબાણી, અદાણી અને બિરલાના ઉદ્યોગ જૂથો માતબર રોકાણ કરશે. આ સમિટમાં ઉત્તરપ્રદેશ માટે 4-28 લાખ કરોડના એમઓયુ થઈ રહ્યા છે. અદાણી ગ્રુપ 35 હજાર કરોડ. મુકેશ અંબાણી ગ્રુપ 10 હજાર કરોડ અને બિરલા ગ્રુપ રૂપિયા 25 હજાર કરોડનું રોકાણ કરશે. આનંદ મહેન્દ્ર ગ્રુપ 200 કરોડનું રોકાણ કરશે.
ઉપરોકત સમિટમાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સહિત અનેક રાષ્ટ્રીય નેતાઓ તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી. યુપીમાં આગામી 3 વરસ દરમિયાન આશરે 40 લાખ લોકો માટે નોકરીની તકો ઊભી કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. આ સમિટના ઉદઘાટન સમારંભમાં ઉપસ્થિત આમંત્રિતોને સંબોધતાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુંકે, હવે યુપી વિકાસના રાહ પર આગેકદમ કરી રહ્યું છે. ઉત્તરપ્રદેશના ઉત્કર્ષની શરૂઆત થઈ ગઈ છે. ઉત્તરપ્રદેશમાં બની રહેલા ડિફેન્સ કોરિડોરના આયોજનમાં કાનપુર, આગ્રા, લખનઉ, ઝાંસી અને ચિત્રકૂટને એકસૂત્રમાં સમાવી લેવાશે. વડાપ્રધાને આ પ્રસંગે યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની કામગીરીની ખૂબ પ્રશંસા કરી હતી.
રિલાન્સના મુકેશ અંબાણીએ તેમના વકતવ્યમાં કહ્યું હતું કે, ડિસેમ્બર સુધીમાં દરેક ગામમાં જીયો કનેકટિવિટી આવી જશે. જીયો થકી 14 હજાર લોકોને રોજગાર મળશે.