
ઉત્તરપ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદના પરિણામે પૂરની સ્થિતિ સર્જાવાની સંભાવના છે. ગત મંગળવારથી સતત વરસાદને લીધે જીવન-વ્યવહાર અસ્તવ્યસ્ત થઈ ગયો છે. ભારે વરસાદ અને વીજળી પડવાના કારણે 18થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. ગોન્ડા, કુશીનગર, મિરઝાપુર, સીતાપુરમાં વરસાદે તારાજી સર્જી છે. હવામાન વિભાગે આગાહી કરતાં કહયું છેકે, હજી 10 દિવસ સુધી ચોમાસુ સક્રિય રહી શકે છે. પ્રાપ્ત આંકડાઓ અનુસાર, આ વખતે 23થી 29 ઓગસ્ટ સુધીના સમયગાળામાં ભારે વરસાદ થયો છે. હજુ વધુ વરસાદને કારણે પરેશાની વધવાની શક્યતા છે. કેટલાક જિલ્લાઓમાં વરસાદને કારણે કાચા મકાનો ધરાશાયી થઈ ગયા છે. મોટાભાગની નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી ગઈ છે. ગામોને ખાલી કરાવવામાં આવી રહયા છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સદર કોટવાલી વિસ્તારમાં ગંગાઘાટમાં ઈન્દિરા નગર, રવિદાસ નગર, ચંપાપૂર્વા, કરબલા અને તેની આસપાસના એરિયામાં જળબંબાકારની સ્થિતિ થવા પામી છે. જયારે કેટલાક વિસ્તારો સંપર્કવિહોણા પણ થઈ ગયા છે.