
આજે વિદેશપ્રધાન સુષમા સ્વરાજે 3 વરસ અગાઉ ઈરાકના મોસુલમાંથી જેમનું અપહરણ કરવામાં આવ્યું હતું , તેમ જ જેમના વિષે કોઈજ આધારભૂત સમાચાર મળ્યા નહોતા એ 39 ભારતીયોને ત્રાસવાદીઓએ- આઈએસઆઈએસે કરપીણ રીતે મોતને ઘાટ ઊતારી દીધા હોવાની માહિતી સંસદમાં પેશ કરી હતી. દરેક મૃતદેહના ડીએનએ મળી ગયા છે. તેમના મૃતદેહોને ભારતમાં લાવીને તેમના પરિવારજનોને સોંપવામાં આવશે એવું સુષમા સ્વરાજે જણાવ્યું હતું. આ માહિતી રજૂ કરતા તેઓ લાગણીવશ બની ગયા હતા. લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન પણ ભાવુક બની ગયા હતા. જોકે સંસદમાં આ અંગે નિવેદન રજૂ કરવામાં આવ્યું ત્યારે વિપક્ષના સંસદસભ્યો બૂમાબૂમ કરીને ધમાલ કરી રહ્યા હતા.
વિદેશપ્રધાન સુષમા સ્વરાજે ઈરાકમાં ત્રાસવાદીઓ દ્વારા જેમની નિર્મમ હત્યા કરવામાં આવી તે ભારતીયોની શોધખોળ કરવા માટે તેમજ તેમના મૃતદેહોને ભારત લાવવા વગેરે કામગીરી માટે મદદ કરનારા જનરલ વી. કે.સિંહ તેમજ ભારતની સરકાર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.