જેરૂસલેમઃ વર્ષોથી વૈજ્ઞાનિકો ધરતી સિવાય ક્યાંય સજીવો (પરગ્રહવાસી-એલિયન્સ) છે કે કેમ તેની તપાસ કરે છે. એલિયન્સની હાજરીના દાવા પણ થતા રહે છે. એવો જ એક દાવો ઈઝરાયેલના સ્પેસ સિક્યુરિટી એક્સપર્ટ હાઇમ એશદે કર્યો હતો. હાઈમે ઈઝરાયેલના અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે પરગ્રહવાસીઓ ધરતી પર રહે છે. અમેરિકા અને ઈઝરાયેલ સાથે આ પરગ્રહવાસીઓને કરાર છે, જે પ્રમાણે તેની હાજરી અંગે કોઈને વાત કરવાની નથી. હાઈમ ઈઝરાયેલની સ્પેસ સિક્યુરિટીના ૩૦ વર્ષ સુધી (૧૯૮૧થી ૨૦૧૦) ચીફ રહી ચૂક્યા છે. આ દાવો પહેલી નજરે હાસ્યાસ્પદ લાગતો હોવા છતાં જગતભરમાં તેની ચર્ચા ચાલી છે. હાઈમેે કહ્યું હતુ કે આ આ સંગઠનનું નામ ગ્લેક્ટિક ફેડરેશન છે અને તેઓ ધરતી ઉપરાંત મંગળ પર ભુગર્ભમાં રહેણાંક બનાવીને રહે છે. તેમણે કહ્યું હતું કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેના વિશે જાણેે છે અને એક વખત એ આ એલિયન્સની વિગતો જાહેર પણ કરવાના હતા. એલિયન્સ એવું માને છે કે તેમની હાજરીની જાણકારી મળશે તો ધરતી પર લોકો ગભરાઈ શકે છે. માટે અમને લો-પ્રોફાઈલ જ રહેવા દો. એલિયન્સે અમેરિકી સરકાર સાથેે એવો કરાર કર્યો છે કે તેમને ધરતી પર અમુક પ્રકારના પ્રયોગો કરવા દેવામાં આવે. જે રીતે આપણા વિજ્ઞાનીઓ અવકાશ મથકમાં જઈને પ્રયોગ કરે છે, એ રીતે.
તેમનો આ દાવો સાચો હોય કે તરંગ હોય પરંતુ એ વાત હકીકત છે કે અમેરિકી સરકાર નિયમિત રીતે પરગ્રહવાસીઓની તપાસ કરતી રહે છે. ઓગસ્ટ મહિનામાં જ અમેરિકી સંરક્ષણ વિભાગે યુએફઓ (અનઆઈડેન્ટિફાઈડ ફ્લાઈંગ ઓબજેક્ટ)ની તપાસના આદેશ આપ્યા હતા. ધરતી પર કોઈ ઉડાવતા ન હોય એવા વિમાન કેે વાહન તો પરગ્રહીઓના જ હોય એમ માની તેને યુએફઓ ગણવામાં આવે છે. એવી તપાસ તો અમેરિકાએ ભૂતકાળમાં પણ અનેક વખત કરી છે