ઇરાકમાં અમેરિકન એરબેઝ પર રોકેટ હુમલોઃ કોઈ જાનહાનિ નહિ

બગદાદઃ ઇરાકના બગદાદની ઉત્તરમાં આવેલા અમેરિકન નેતૃત્વવાળી ગઠબંધન સેનાઓના બેઝ પર ફરી એકવાર ક્ત્યુશા રોકેટ છોડવામાં આવ્યાં હતાં. ઇરાકની સેનાએ આપેલી માહિતી મુજબ આ એરબેઝ પર અમેરિકન સૈનિક પણ તહેનાત છે. જોકે આ હુમલાની કોઈએ પણ હજુ સુધી જવાબદારી લીધી નથી. જોકે હુમલાને કારણે જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી મળી નથી.
આ એરબેઝનો ઉપયોગ અમેરિકન સેના કરે છે. મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ નવેસરથી કરાયેલા હુમલાથી સ્પષ્ટ છે કે અમેરિકા અને ઇરાન વચ્ચે તંગદિલી વધી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇરાનના જનરલ કાસિમ સુલેમાનીનું અમેરિકન હુમલામાં મોત થયા પછી ઇરાકમાં અમેરિકન સૈન્ય બેઝ પર સતત હુમલા ચાલુ છે. ઈરાને પણ બે સૈન્ય બેઝ પર હુમલા કર્યા હતા. ત્યાર બાદથી સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. માનવામાં આવે છે કે ઇરાકમાં ઈરાન સમર્થિત મિલિશિયાના સભ્ય આ હુમલા કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કાસિમ સુલેમાનીના મોત બાદ ઈરાનના ક્ષેત્રમાં તહેનાત તમામ સંગઠનો અને દેશોએ અમેરિકા પર વળતો હુમલો કરવાની અપીલ કરી હતી. આ અગાઉ રવિવારના રોજ ઇરાકના અબ બલાદ એરબેઝ પર આઠ મોર્ટાર છોડવામાં આવ્યા હતા, જેમાંથી સાત મોર્ટારે એરબેઝના રનવેને નુકસાન પહોંચાડ્યું હતું. આ હુમલામાં ઇરાકી સેનાના ચાર જવાન ઘાયલ થયા હતા. જોકે અમેરિકાએ આરોપ મૂક્યો છે કે ઇરાકમાં ઈરાન સમર્થિત ગુ્રપ તરફથી આ હુમલો કરવામાં આવ્યો છે.
આ હુમલો ઇરાકની ઈરાન સમર્થિત શિયા મિલિશિયા અસૈબ અહલ અલ હકના નેતા કેસ અલ ખજાલીનું નિવેદન કેટલાક દિવસો પછી આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ઈરાનના સૈન્ય કમાન્ડરના મોતના બદલામાં ઈરાને શરૂઆતી જવાબ આપ્યો છે અને ઇરાકે પણ અમેરિકન હવાઈહુમલાનો જવાબ આપવાનો સમય આવી ગયો છે.