
પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય એરફોર્સે કરેલી એર- સ્ટ્રાઈકને કારણે બન્ને દેશોના સંબંધોમાં કડવાશ વ્યાપી ગઈ છે. સમજૌતા એક્સપ્રેસથી શરૂ કરીને રાહ- એ- મિલન બસ સેવા બંધ કરી દેવાયા બાદ ભારત- પાકિસ્તાન વચ્ચે અસહ્ય તંગદિલીની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. આમ છતાં શીખોના અતિ મહત્વનાં તીર્થસ્થાન કરતારપુર કોરિડોર અંગે વાતચીત કરવા માટે પાકિસ્તાનના અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે 13 માર્ચે આવી રહ્યું છે. હાલમાં બન્ને દેશો વચ્ચે સુમેળ નથી, પણ તનાવ છે , છતાં ઉપરોક્ત વાતચીત રદ કરવામાં આવી નથી. વાતચીત દરમિયાન શીખોના અતિ પવિત્ર તીર્થસ્થાન કરતારપુર સાહિબ સુધી 4 કિ.મિ.ની લંબાઈ ધરાવતા કોરિડોરની રચના કરવાનો માર્ગ મોકળો થશે એમ માનવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા થયા બાદ ભારતનું પ્રતિનિધિમંડળ પાકિસ્તાન જશે. પરસ્પરની ચર્ચામાં બધા મુદા્ઓ અંગે વાત થયા પછી કરતારપુર કોરિડોરનું નિર્માણ સરલ બનશે એમ સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું.