અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરાશે

 

અંબાજી: અંબાજી મંદિર પ્રસાદના વિવાદમાં અંતે ભક્તોની આસ્થાની જીત થઈ છે. સરકારે મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવા નિર્ણય લીધો છે. અંબાજીમાં મોહનથાળના પ્રસાદ વિવાદ અંગે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં એક બેઠક બોલાવી હતી. શક્તિપીઠ અંબાજીમાં પરંપરાગત રીતે પ્રસાદ તરીકે અપાતા મોહનથાળને બંધ કરી ચીક્કીનો પ્રસાદ શરૂ કરાતા ભક્તોમાં ભારે રોષ છવાયો હતો. આ મુદ્દા એ રાજકીય તુત પકડતા ગુજરાત સરકારે દખલગીરી કરવાની ફરજ પડી હતી. ગાંધીનગરમાં યોજાયેલ મીટીંગમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ સાથે ચીકીનો પ્રસાદ પણ ચાલુ રહેશે. ભક્તો પોતાની ઈચ્છા પ્રમાણે પ્રસાદ ખરીદી શકશે. અંબાજીમાં મોહનથાળના પ્રસાદ વિવાદ મામલે ગાંધીનગરમાં મુખ્યપ્રધાનની હાજરીમાં બેઠક મળી હતી. જેમાં અંબાજી મંદિરના વહીવટદાર અને મુખ્ય પુજારી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવા જાહેરાત કરી હતી. ઋષિકેષ પટેલે કહ્યું કે, કેટલાક ભક્તોની ફરિયાદ હતી કે મોહનથાળમાં ફૂગ આવતી હતી, તે લાંબો સમય રહેતો નથી. પરંતુ ભક્તોના વિરોધ બાદ હવે મોહનથાળનો પારંપરિક પ્રસાદ ચાલુ જ રહેશે. મોહનથાળની ક્વોલિટીમાં સુધારો કરવામા આવશે. તેની સાથે જ વધારામાં સુખડીનો પ્રસાદ પણ ઉમેરાશે